દશામાના વિસર્જન માટે શહેરમાં 5 કૃત્રિમ તળાવ બનાવ્યા

સુરત: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ ચૂકી છે, હાલ ભગવાના ભોળેનાથીને રિઝવવાનો શ્રાવણ મહિના સાથે દશામાંના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે લોકો વ્રત નિમિત્તે દશામાંની પ્રતિમાની પૂજા અર્ચના કરતા હોય છે અને દશમા દિવસે દશામાંની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કોઈ પણ પ્રકારની પ્રતિમાનું થતું વિસર્જન અટકાવવા માટે પાલિકા ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારમાં પ્રતિમા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે. આ વર્ષે પણ દશામાના તહેવારની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી હોવાથી પાલિકાએ શહેરમાં પાંચ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી છે.

તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત કોઈ પણ પ્રકારની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન ન થાય તેવા આદેશ બાદ પાલિકા તંત્ર કડક બન્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા કૃત્રિમ તળાવ બનાવી તેમાં પ્રતિમાનું વિસર્જનની કામગીરી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષે જે રીતે સુરતમાં દશામાની પ્રતિમાની સ્થાપના થઈ છે. આ તહેવાર પુરો થયા બાદ પ્રતિમા વિસર્જન માટેની કામગીરી કરવાની હોય છે. તેથી પાલિકાએ દશામા પ્રતિમા વિસર્જન માટે 5 સ્થળોએ કૃત્રિમ તળાવ  બનાવવાની કામગીરી હાથ ધરી છે.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારો, કતારગામમાં લંકા વિજય ઓવારો, વરાછા-એ અને વરાછા-બી ઝોન વિસ્તારમાં સરથાણા વી.ટી.સર્કલ પાસે, અઠવા વિસ્તારમાં ડુમસ કાંદી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે પાલિકાએ લોકોને અવી અપીલ કરી છે કે, તાપી નદીમાં થતા પ્રદૂષણને અટકાવવા તેમજ પર્યાવરણના રક્ષણ માટે દશામાની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ ઉપરાંત મંડપ, ઘરમાં જ વિસર્જન કરવામાં આવે.