ગણપત યુનિવર્સિટી પરિવારે પણ રાહત ફંડમાં આપ્યો ફાળો

ગાંધીનગરઃ ગણપત યુનિવર્સિટીના પરિવાર તરફથી 16,00,000 રુપિયાનો ચેક મુખ્યમંત્રી વિજય રુપાણીને આપવામાં આવ્યો હતો. ગણપત યુનિવર્સિટી પરિવાર એ આશરે 1000 હજાર જેટલા કર્મચારીઓનો બનેલો છે.

ગણપત યુનિવર્સિટીના નાનામાં નાના કાર્યકરથી માંડીને છેક વાઇસ ચાન્સેલર સુધીના સમગ્ર પરિવારે પોતાના એક દિવસના પગાર દ્વારા એકત્રિત કરેલી ધનરાશિના રૂપિયા 16 લાખનો ચેક યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ અર્પણ કર્યો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણપત યુનિવર્સિટીના આ સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામેની લડતના આ કપરા સમયમાં રાજ્યની પડખે ઊભા રહેવા માટે અમે ગણપત યુનિવર્સિટીના આભારી છીએ. એમણે વધુમાં કહ્યું કે સામાજિક જવાબદારી માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા આ અનુદાન દ્વારા બહુ યોગ્ય રીતે સિદ્ધ થાય છે. કોરોના વાઇરસ સામે મજબૂત લડત આપવા યુનિવર્સિટીએ લીધેલાં વર્ચ્યુઅલ કલાસરૂમ,  સેનિટાઇઝેશન અને કમ્પ્લિટ લોકડાઉન જેવા અન્ય  અનેકવિધ પગલાંની પણ મુખ્યમંત્રીએ કદર કરી હતી.