લોકરક્ષક અને PSI ભરતી માટે મોટી જાહેરાત

લોકરક્ષક અને PSIની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગત એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા હોય, તેઓ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ બાબતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક પછી એક પોસ્ટ મૂકીને જાણકારી આપી છે. જેમાં જણાવ્યા મુજબ, લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા હોય, તે તમામ ઉમેદવારોને 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.

એક ટ્વીટમાં IPS હસમુખ પટેલે જણાવ્યું છે કે, PSI લેખિત પરીક્ષામાં બન્ને પેપર એક સાથે જ લેવામાં આવશે. જે ઉમેદવારો પેપર-1માં પાસ થયા હશે, તેમનું પેપર-2 તપાસવામાં આવશે. જ્યારે લેખિત પરીક્ષા નવી CBRTની જગ્યાએ જૂની OMR પદ્ધતિથી જ લેવામાં આવશે.