રણબીર-આલિયા આ વર્ષે લગ્ન કરશેઃ લારા દત્તા

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી લારા દત્તા-ભૂપતિનું કહેવું છે કે તેનાં સાથી કલાકારો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. રણબીર અને આલિયા 2017ની સાલથી વાસ્તવિક જીવનમાં એકબીજાંની નિકટ છે. બંને જણ લગ્ન કરશે એવી ઘણા વખતથી અફવા પણ ચાલે છે. રણબીર અગાઉ કહી ચૂક્યો છે કે જો કોરોનાવાઈરસને કારણે લોકડાઉન લાગુ થયું ન હોત તો તેણે અને આલિયાએ લગ્ન કરી લીધાં હોત. હવે લારા દત્તાએ કહ્યું છે કે રણબીર અને આલિયા આ જ વર્ષમાં લગ્ન કરી લેશે. ‘ટાઈમ્સ નાઉ’ને આપેલી એક મુલાકાતમાં લારાને જ્યારે રણબીર-આલિયાનાં બહુપ્રતિક્ષિત લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે લારાએ કહ્યું કે, ‘મને લાગે છે કે તેઓ આ જ વર્ષમાં પરણી જવાનાં છે.’

રણબીર અને આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. રણબીરની નવી ફિલ્મ આવી રહી છે ‘શમશેરા’ અને ‘એનિમલ’. બીજી બાજુ આલિયા તેની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. તે ઉપરાંત એ ‘RRR’, ‘ડાર્લિંગ્સ’ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ‘ડાર્લિંગ્સ’ ફિલ્મની તો એ પોતે નિર્માત્રી પણ છે. તે એનાં ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન્સ બેનર હેઠળ પહેલી જ વાર ફિલ્મનું નિર્માણ કરી રહી છે.

લારા દત્તા-ભૂપતિ