અભિનેતા રાજીવ કપૂર (58)નું હાર્ટ-એટેકથી અવસાન

મુંબઈઃ સ્વ. અભિનેતા રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં ચેંબૂરસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. એ 58 વર્ષના હતા. એ અભિનેતા રણધીર કપૂર અને સ્વ. અભિનેતા રિશી કપૂરના નાના ભાઈ હતા.

રાજીવને હાર્ટ એટેક આવતાં રણધીર કપૂર એમને ઈનલેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા. રાજીવના પ્રાણ બચાવવા ડોક્ટરોએ ઘણી મહેનત કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. રાજીવના અવસાનની જાણ ખુદ રણધીર કપૂરે જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કરી હતી. રાજીવ કપૂરે એક ડઝનથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પણ 1985માં એમના પિતા રાજ કપૂર દિગ્દર્શિત ‘રામ તેરી ગંગા મૈલી’ એમની સૌથી સફળ ફિલ્મ હતી. એમની અન્ય ફિલ્મો હતીઃ એક જાન હૈં હમ, આસમાન, અંગારે, લવર બોય, લાવા, ઝબરદસ્ત, મેરા સાથી, હમ તો ચલે પરદેસ. નિર્માતા તરીકે તેઓ કમબેક કરવાના હતા અને સંજય દત્તને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી, આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ‘તુલસીદાસ જુનિયર’ નામની નવી ફિલ્મ બનાવવાના હતા. એની જાહેરાત તેમણે ગયા ડિસેમ્બરમાં કરી હતી. રાજીવ કપૂરે આરતી સભરવાલ સાથે 2001માં લગ્ન કર્યા હતા, પણ બે વર્ષ પછી એમણે છૂટાછેડા લઈ લીધા હતા. એમને કોઈ સંતાન નહોતું.