રણબીર-આલિયાનાં સૂચિત-લગ્ન વિશે નીતૂ કપૂરે શું કહ્યું?

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી નીતૂ સિંહ-કપૂરે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ ટીવી શો દ્વારા ટેલિવિઝન પર પહેલી જ વાર પદાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એમને તેમનાં અભિનેતા પુત્ર રણબીર અને અભિનેત્રી આલિયા ભટ્ટનાં સૂચિત લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે રણબીર-આલિયાનાં સંબંધ વિશે આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, ‘બંને જણ લગ્ન કરે એ ક્ષણની તો હું રાહ જોઉં છું. આલિયા ખરેખર બહુ જ સારી છે. હું કાયમ એની પ્રશંસા કરતી રહી છું. એ પ્યારી વ્યક્તિ છે. હું તો એવું ઈચ્છીશ કે હું અહીંથી પેક-અપ કરું, ઘેર પાછી ફરું અને એ બંને લગ્ન કરે.’

63 વર્ષની વયે પણ નીતૂ ઘણા જ સુંદર અને ચાર્મિંગ દેખાય છે. આનું રહસ્ય શું? એમ જ્યારે પૂછ્યું તો એમણે કહ્યું કે, હું હવે મારાં સ્વાસ્થ્યની વધારે કાળજી લેતી થઈ છું અને મારાં લૂક માટે વધારે સમય ફાળવું છું. દિવંગત પતિ રિશી કપૂરને યાદ કરીને એમણે કહ્યું કે, હું સ્વયંને સક્રિય રાખીને એ દર્દમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છું. મને મારાં બંને સંતાન – રણબીર અને રિધીમાનો ખૂબ જ સાથ રહ્યો છે. રિધીમા વધારે ભાવૂક છે જ્યારે રણબીર શાંત સ્વભાવનો છે, પણ બંને જણ મને કાયમ સાથ દેતાં રહ્યાં છે.