અકસ્માતનો ગભરાટ હજી મનમાં છે: મલાઈકા અરોરા

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ એક કાર અકસ્માતમાં આબાદ ઉગરી ગઈ હતી. તે પુણેથી મુંબઈ પાછી ફરી રહી હતી ત્યારે એક્સપ્રેસવે પર એની કાર બીજા બે વાહન સાથે અથડાઈ હતી. એને ઈજા થઈ હતી અને એને તાબડતોબ નજીકની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે અકસ્માતે એને અત્યંત હચમચાવી મૂકી હતી. પરંતુ એક પખવાડિયામાં એ ફરી સ્વસ્થ થઈ ગઈ છે અને શૂટિંગ કામગીરીમાં પાછી જોડાઈ ગઈ છે.

બોમ્બે ટાઈમ્સ સાથેની મુલાકાતમાં મલાઈકાએ કહ્યું કે, ‘એ રાત બહુ કમનસીબ હતી. મને યાદ છે કે ત્યારે મારી આજુબાજુ ઘણું લોહી પડેલું હતું. મારાં પરિવારજનો, અર્જુન (કપૂર) તથા અન્ય દરેક જણ તરત જ ત્યાં દોડી આવ્યાં હતાં. લગભગ એક અઠવાડિયા પછી હું અરીસામાં સ્વયંને જોઈ શકી હતી. તે અકસ્માતનો ગભરાટ હજી પણ મારા મનમાંથી ગયો નથી.’

મલાઈકાએ વધુમાં કહ્યું કે, અકસ્માતની રાતે મેં બે જ ચીજ માટે પ્રાર્થના કરી હતી. મારે એ રાતે મરવું નહોતું અને મારી આંખોની રોશની ગુમાવવી નહોતી. તે ઘટનાના 15 દિવસ બાદ હું શારીરિક રીતે તો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છું, પરંતુ માનસિક રીતે હજી નાજુક અવસ્થા ચાલુ છે.