પ્રભાસને ડેટિંગની અફવાનું કૃતિએ જ ખંડન કર્યું

મુંબઈઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને આગામી ફિલ્મ ‘આદિપુરુષ’માં પોતાનાં સહ-કલાકાર પ્રભાસ સાથે પોતે લગ્ન કરવાનો વિચાર કરી રહી હોવાનાં અહેવાલોને બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને રદિયો આપ્યો છે. આ સાથે જ પ્રભાસ-કૃતિ રિલેશનશિપનમાં હોવાની અટકળોનો અંત આવી ગયો છે. કૃતિએ પોતે જ આની સ્પષ્ટતા કરી દીધી છે અને કહ્યું છે કે આ બધી અફવા છે. વાતમાં કોઈ સચ્ચાઈ નથી.

કૃતિએ ગઈ કાલે રાતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નિવેદન ઈશ્યૂ કર્યું છે. એણે લખ્યું છેઃ ‘આમાં ન તો કોઈ પ્યાર છે કે ન તો PR (પબ્લિસીટી સ્ટન્ટ) છે. એક રિયાલિટી શોમાં અમારો ભેડિયા થોડોક વધારે જંગલી બની ગયો હતો. અને એની મજેદાર મજાકને કારણે રમૂજી અફવાઓ ઊડી હતી. કોઈ પોર્ટલ મારાં લગ્નની તારીખની જાહેરાત કરે એની પહેલાં મને જ આ પરપોટો ફોડી નાખવા દોઃ અફવાઓ સદંતર પાયાવિહોણી છે.’

ઓમ રાઉત દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મ 2023ની 16 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ પ્રાચીન હિન્દુ મહાકાવ્ય (ગ્રંથ) રામાયણ પર આધારિત હશે. ઓમ રાઉત રામાયણના પાત્રોને પોતાની, આધુનિક સ્ટાઈલમાં દર્શકો સમક્ષ પેશ કરવાના છે. પ્રભાસ એમાં ભગવાન રામ બન્યો છે, કૃતિ સીતાજીની ભૂમિકા ભજવી રહી છે જ્યારે સૈફ અલી ખાન બન્યો છે લંકેશ રાવણ.