‘વિશ્વ કિડની દિવસ’ પૂર્વે રણબીર- અમિતાભનો અંગદાનનો સંકલ્પ

મુંબઈઃ દર વર્ષની જેમ આ વખતે પણ 11 માર્ચના રોજ દુનિયાભરમાં ‘વર્લ્ડ કિડની ડે’ મનાવવામાં આવશે. આ દિવસ પૂર્વે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરે મૃત્યુ બાદ પોતાની કિડની તેમજ શરીરના અન્ય અંગોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રણબીરના કાકા અને સુપ્રસિદ્ધ અભિનેતા શમ્મી કપૂરની કિડની ખરાબ થઈ ગઈ હતી અને એમને દર અઠવાડિયે ત્રણ વખતે કિડનીની સારવાર માટે દક્ષિણ મુંબઈસ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જવું પડતું હતું.

એવા સમાચાર છે કે અમર ગાંધી ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રણબીર તેમજ તેની આગામી નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્માતા કરણ જોહર, દિગ્દર્શક અયાન મુખરજી, અમિતાભ બચ્ચને પણ કિડનીનું દાન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે જ્યારે આ જ ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું કે પોતે આ ઝુંબેશને સમર્થન આપે છે. અમિતાભ બચ્ચન તો અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા હતા કે મૃત્યુ બાદ એમના અંગોનું દાન કરવામાં આવે એવો તેમણે સંકલ્પ કર્યો છે.