અંબાજી પ્રસાદનો વિવાદ પૂરો, ભક્તોને હવે મોહનથાળ – ચીકી બન્નેનો પ્રસાદ મળશે

છેલ્લા થોડાં દિવસોથી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ બંધ કરવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જેના પર આખરે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું કે, ભક્તોને હવે મોહનથાળ – ચીકી બન્નેનો પ્રસાદ મળશે. આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમંત્રી રૂષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને જેમાં આખરે આ બેઠકમાં મંદિરની તરફથી 2 ઓપ્શન આપવામાં આવશે. જેમાં ચીકી અને મોહનથાળના પ્રસાદ આપવામાં આવશે અને ભક્તોને બંને પ્રસાદ મળશે. તેમજ ચીકીની સાથે ભક્તોને મળશે મોહનથાળનો પણ પ્રસાદ. આ ઉપરાંત બેઠકમાં મોહનથાળની ક્વોલિટી સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટ સાથે બેઠક બાદ સરકાર કરી શકે જાહેરાત

ગાંધીનગર ખાતે આજે બપોરે 2 વાગ્યા આસપાસ અંબાજી મંદિરમાં ચાલી રહેલા મોહનથાળ અને ચિક્કીના પ્રસાદના વિવાદ પર બેઠક યોજાવાની છે. ખાસ વાત છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા 3 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાયો હતો. ત્યારથી માઈભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી હિન્દુ સંગઠનો વિરોધમાં આવતા પ્રસાદનો વિવાદ સતત વકરતા સરકાર એક્શનમાં આવી છે. એવામાં હવે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે અને બેઠક બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે.

દાંતાના રાજવી પરિવારે પણ નિર્ણયનો વિરોધ કર્યો હતો

હિન્દુ સંગઠનો, માઈભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીને ફરી તેને શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે. ત્યારે હવે દાંતાનો રાજવી પરિવાર આ મામલે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માગણી કરી રહ્યો છે. દાંતાના રાજવી પરિવારે પીએમ મોદીને ટ્વીટ કરીને આ મામલે મધ્યસ્થી થવા કહ્યું હતું તથા હાઈકોર્ટમાં પણ અરજી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.