RSSને બંધારણ કદી સ્વીકાર્ય નહોતું: જયરામ રમેશનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSSએ) ક્યારેય ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું નથી. તે શરૂઆતથી જ બંધારણ બનાવનારાઓ પર નિશાન સાધતો રહ્યો છે. રમેશે આરોપ મૂક્યો હતો કે RSSને કારણ કે બંધારણ ‘મનુસ્મૃતિને આધારે લખાયું નથી’, તેથી તેને તે પસંદ નથી.

તેમણે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે RSS અને ભાજપે વારંવાર નવા બંધારણની માગ ઉઠાવી છે. તેમણે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના પ્રચારનું આ મુખ્ય સૂત્ર હતું, પરંતુ ભારતની જનતાએ આ સૂત્રને સ્પષ્ટપણે નકારી દીધું હતું.

દત્તાત્રેય હોસબોલેએ ગુરુવારે ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થવા અંગે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ જેવા શબ્દો મૂળમાં નહોતા. ઇમર્જન્સી દરમિયાન જ્યારે માળખાગત અધિકારો નિલંબિત કરાયા હતા, સંસદ કાર્યરત નહોતી અને ન્યાયપાલિકા નિષ્ક્રિય બની ગઈ હતી, ત્યારે આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, એમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ત્યાર બાદ ચર્ચા થઈ, પરંતુ આ શબ્દોને દૂર કરવાનો કોઈ પ્રયાસ થયો નથી. અત્યારે સવાલ ઊઠે છે કે શું આ શબ્દો પ્રસ્તાવનામાં હોવા જોઈએ કે નહીં – એ મુદ્દે વિચાર કરવો જોઈએ, તેમ હોસબોલેએ કહ્યું હતું.

જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે RSS 30 નવેમ્બર, 1949 પછીથી કદી પણ બંધારણને સંપૂર્ણ સ્વીકાર્યું નથી. એ દિવસથી લઈને આજદિન સુધી તે ડો. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ અને અન્ય બંધારણના ઘડવૈયાઓ પર આક્ષેપ કરતા આવ્યા છે.

તેમણે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના 25 નવેમ્બર, 2024ના એક ચુકાદાની નકલ પણ શેર કરી અને પૂછ્યું હતું કે શું RSSના નેતાઓ આ ચુકાદાને વાંચવાનું પણ કષ્ટ કરશે?