CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું.

Chief Minister Bhupendrabhai Patel

સમગ્ર મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી, તેનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.

Chief Minister Bhupendrabhai Patel

આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને ભૂપેન્દ્રભાઈએ હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.