ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચૈતર વસાવા જોડાયા

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધીની યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લા પ્રવેશી છે. રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાય યાત્રામાં જોડાયા છે. અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો જોવા મળી રહ્યા છે.અહીંયાંના સ્થાનિક આદિવાસીઓમાં રાહુલ ગાંધીને જોવા આનંદ પણ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી યાત્રા સાથે રાજપીપળા પહોચ્યા હતા. તેમણે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો જોડાયા હતા.

આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે

નેત્રંગમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપવાળા તમને કહેશે સારો વિકાસ થઇ રહ્યો છે, પણ વિકાસ અદાણી-અંબાણીનો થઇ રહ્યો છે, તમારો નહીં. આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે. ભાજપ તમને આદિવાસી નથી કહેતા તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતા નથી. અદાણીના દેવા માફ થઇ જાય છે પણ તમને તમારો હક નથી મળતો, ભાજપ ખેડૂતોના અને આદિવાસીઓના દેવા માફ કરતી નથી. કોંગ્રેસ તમને તમારા જળ-જમીનના તમામ હક્ક આપશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ તમારા જ ખીસ્સામાંથી ચોરી કરી રહી છે અને અમુક લોકો એને વિકાસ કહે છે. આઝાદીના 70 વર્ષમાં ભાજપે આદિવાસીઓનો વિકાસ નથી કર્યો, આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે.

ભાજપની હારની શરૂઆત થઇ ગઇ છે: ગોપાલ ઇટાલિયા

ન્યાય યાત્રામાં આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ ભાજપ કર્યા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચૂંટણી પરિણામો પર ચોક્કસ અસર કરશે. જે મનસુખ વસાવાની ટિકિટ કપાઈ જવાની હતી, તેમણે પણ ટિકિટની આશા છોડી દીધી હતી. પોસ્ટરમાં તેમના ફોટા પણ મુકવાના બંધ કરી દીધા હતા તે મનસુખ વસાવાને સાતમી ટર્મ માટે ભાજપે ટિકિટ આપવી પડી, જે બતાવે છે કે ભાજપની હારવાની શરૂઆત થઈ ગઈ છે.