‘કારકિર્દીનાં ઊંબરે’ પુસ્તકનું વિમોચન

અમદાવાદ: વિદ્યાર્થીઓ-વાલીઓમાં સતત મૂંઝવતો પ્રશ્ન એટલે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયા પછી આગળ શું..? એના માર્ગદર્શન માટે વિશેષ સાહિત્યની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે સચોટ અને સરળ માહિતી મળે એ માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દી બને એ હેતુથી ડો. મનીષ દોશી દર વર્ષે ‘કારકિર્દીનાં ઊંબરે’ પુસ્તક બહાર પાડે છે. જેનું વિમોચન શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું.ડો.મનીષ દોશી કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર છે. તેઓ સતત વીસ વર્ષથી ‘કારકિર્દીનાં ઊંબરેથી’ ધોરણ 10 અને 12 પછી શું..? એ પુસ્તકનું સંપાદન તો કરે છે. એ સાથે સાંપ્રત સમયમાં શિક્ષણ જગતમાં શું નવીનીકરણ થયું છે એ વિશે માહિતગાર પણ કરે છે.

પુસ્તક વિમોચન બાદ ડો.મનીષ દોશી કહે છે કે, આ વખતે ગત વર્ષ કરતાં પાનાં પણ વધારે છે. આ સાથે ‘વોકેશનલ કોર્સિસ’ની માહિતી અને કૃષિ વિષયક અભ્યાસક્રમોની વધુ જાણકારી ઉમેરવામાં આવી છે.આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું મનીષભાઈનું શિક્ષણ અંગેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવાનું વીસ વર્ષનું સાતત્ય નોંધનીય છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ કહ્યું કોંગ્રેસ પક્ષ શિક્ષણ ક્ષેત્રે પણ એટલો જ જાગૃત છે. મનીષભાઈ જેવા શિક્ષણ પ્રત્યે સંનિષ્ઠ લોકોની મદદથી વિદ્યાર્થીઓ અને યુવાનોને કોંગ્રેસ પક્ષ સતત મદદ કરતો રહેશે.કારકિર્દીનાં ઊંબરે પુસ્તક કોંગ્રેસની વેબસાઈટ, ક્યુઆર કોડ દ્વારા તેમજ careerpath.info પરથી ડાઉનલોડ કરી શકાશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)