વિશ્વના બે શ્રીમંતો વચ્ચે ટેલિકોમ ક્ષેત્રે વેપારયુદ્ધ ખેલાશે?

નવી દિલ્હીઃ પોર્ટ, રિન્યુએબલ ક્ષેત્ર અને એરપોર્ટના માલિક ગૌતમ અદાણી –જેનો ટેલિકોમ ક્ષેત્રમાં સ્નાનસૂતકનો એ સંબંધ નથી –તેઓ આ મહિને થનારી 5G સ્પેક્ટ્રમની લિલામીમાં બોલી લગાવશે. અદાણીએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે, ત્યારથી વિશ્લેષકો એવી ચર્ચા કરી રહ્યા છે કે અદાણી અને અંબાણી વચ્ચે હવે વેપારયુદ્ધ ખેલાશે?

છ વર્ષ પહેલાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દેશના વાયરલેસ માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. તેમણે સસ્તા ડેટા અને મફત કોલની સાથે ટેલિકોમ ક્ષેત્રે તહેલતો મચાવી દીધો હતો અને આજે હવે 41 કરોડ ગ્રાહકોની સાથે ટેલિકોમ ક્ષેત્રમાં માર્કેટ લીડર છે. અંબાણીના જિયો પ્લેટફોર્મ લિ. મેટા પ્લેફોર્મ ઇન્ક. અને આલ્ફાબેટ ઇન્ક. સામેલ છે, જે 95 અબજ ડોલરનો ઉદ્યોગ છે, જે અંબાણીને પિતા પાસેથી મળેલા હાઇડ્રોકાર્બન ઉદ્યોગથી 17 ટકા મોટો છે. અંબાણીએ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ પર જૂથની વધુપડતી નિર્ભરતા ઘટાડવા માટે ટેલિકોમ અને રિટેલ જેવા ગ્રાહકલક્ષી વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો.

બીજી બાજુ, અદાણીએ કાર્ગો, કોલસા, વીજ, સિમેન્ટ ક્ષેત્ર પ્રવેશ્યા પછી મિડિયામાં પણ પ્રવેશ કર્યો છે, પણ હવે તેમની મહત્ત્વાકાંક્ષા ટેલિકોમમાં પ્રવેશવાની છે, તો શું વિશ્વના બે શ્રીમંત લોકો માટે ટેલિકોમ ક્ષેત્ર યુદ્ધનું મેદાન બનશે?

ટેલિકોમ ક્ષેત્રે જિયો અને ભારતી એરટેલ લિ. નંબર એક અને નંબરની પોઝિશન પર છે, જ્યારે વોડાફોન નાદારીને આરે ઊભી છે. ત્યારે અદાણી ત્રીજું સ્થાન મેળવવા ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશશે તો કંપનીને મોટા મૂડીરોકાણની જરૂર પડશે. ટેલિકોમ ક્ષેત્રે નવી એક જ કંપનીની ગુંજાઇશ છે, એમ બેન્ક ઓફ અમેરિકાના વિશ્લેષકોનું કહેવું છે.