ભારત સાથે યૂરોપીયન યૂનિયન કરશે મુક્ત-વ્યાપાર કરાર

જિનેવાઃ યૂરોપીયન યૂનિયન (EU)ના એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડન્ટ અને ટ્રેડ કમિશનર વોલ્ડિસ ડોમ્બ્રોવસ્કીસે કહ્યું છે કે યૂરોપીયન યૂનિયન ટૂંક સમયમાં જ ભારત સરકાર સાથે સૂચિત મુક્ત વ્યાપાર કરાર કરવા માટે મંત્રણા વિધિવત્ શરૂ કરશે.

ડોમ્બ્રોવ્સ્કીસે અત્રે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) સંમેલન દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે ચર્ચા કરી હતી. સૂચિત કરારને બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ (બીટીઆઈએ) તરીકે ઓળખવામાં આવ્યો છે. આ કરાર અનેક પ્રકારના પ્રશ્નોને કારણે 2013ની સાલના મે મહિનાથી અટકી ગયો છે. વર્ષ 2021-22માં યૂરોપીયન યૂનિયનના સભ્ય દેશો ખાતે ભારતની વ્યાપાર નિકાસ 65 અબજ અમેરિકન ડોલર હતી જ્યારે આયાત 51.4 અબજ ડોલર હતી.