યુવા, ખેડૂત, મધ્યમ વર્ગ પર બજેટમાં વધુ ધ્યાન આપશે સરકાર

નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રોજગાર, ગ્રામીણ, અર્થતંત્ર અને ઉત્પાદન પર ધ્યાન કરનારું હશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ બજેટ રજૂ કરશે, એમાં વર્ષ 2047 સુધી ભારતને વિકસિત કરવાના વિઝન, રૂ. પાંચ લાખ કરોડ ડોલરના અર્થતંત્રના અર્થતંત્રના રોડમેપથી માંડીને વિશ્વના ત્રીજા મોટા અર્થતંત્રને બનાવવાનો મુસદ્દો હશે. આ સિવાય મિડલ ક્લાસ, આમ આદમી અને ખેડૂતોને રાહત આપવાથી માંડીને ITમાં છૂટ, લોકોની પાસે પૈસા આવે- એવી જાહેરાત કરનારું લોકરંજક બજેટ હશે.

બજેટથી 10 દિવસ પહેલાં વડા પ્રધાન મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક થઈ હતી, જેમાં સરકારે સાફ કર્યું હતું કે સરકાર અનેક મહત્ત્વના મુદ્દાઓને લઈને ગંભીર છે. જેથી બજેટમાં નાણાપ્રધાન ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપે એવી શક્યતા છે. સરકાર બજેટમાં મૂડી ખર્ચ, ઇન્ફ્રસ્ટ્રક્ચર અને કૃષિ પર વિશેષ એલાન કરે એવી શક્યતા છે.

સરકારે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ઇશારો આપ્યો હતો કે સરકાર બજેટમાં મધ્ય વર્ગ માટે કંઈક રાહત જાહેર કરી શકે છે. સરકાર મધ્યમ વર્ગ માટે નવી કર પ્રણાલીમાં આવકવેરા છૂટ સ્લેબની લિમિટ રૂ. પાંચ લાખ કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સરકાર હાઉસિંગ લોન પર પણ કંઈક છૂટ જાહેર કરે એવી શક્યતા છે.

આ સાથે સરકાર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિદરને ઝડપી બનાવવા માટે ઉપાયોની ઘોષણા કરી શકે છે. આ સાથે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં PM આવાસ યોજનાને લઈને એલાન કરે એવી શક્યતા છે. આ સાથે સરકાર મનરેગાના કાર્ય દિવસ વધારે એવી સંભાવના છે.