ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ છટણી નહીં કરે

મુંબઈઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસીસ નિકાસના ક્ષેત્રમાં દેશની સૌથી મોટી અને મલ્ટીનેશનલ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) તેના સ્ટાફમાં કોઈ પ્રકારની છટણી કરવાની નથી, કારણ કે તે એવું માને છે કે તે એકવાર કોઈ કર્મચારીને નોકરીએ રાખે છે તે પછી એનામાં રહેલી પ્રતિભાને એવી રીતે સુસજ્જ બનાવે છે કે જેથી તેમની કારકિર્દી લાંબો સમય સુધી ટકે.

ટાટા ગ્રુપની મુંબઈમાં મુખ્યાલય ધરાવતી ટીસીએસ કંપનીના ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર મિલિંદ લક્કડને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘તમારી કંપની કેટલા કર્મચારીઓની છટણી કરવાની છે?’ ત્યારે એમણે કહ્યું કે, ‘અમે કોઈ છટણી કરવાના નથી. ઉલ્ટું, અમે તો સ્ટાર્ટઅપ કંપનીઓના એવા કર્મચારીઓને નોકરીએ રાખવા વિચારીએ છીએ જેમણે એમની નોકરી ગુમાવી દીધી છે.’

એક તરફ દુનિયાની દિગ્ગજ આઈટી કંપનીઓ જુદા જુદા કારણોસર કર્મચારીઓની મોટા પાયે છટણી કરી રહી છે ત્યારે ટીસીએસનો આ નિર્ણય ખૂબ ઉલ્લેખનીય અને સરાહનીય છે.