‘એક્રેડિટેડ-ઇન્વેસ્ટર્સ’નું સર્ટિફિકેશન આપવા માટે બીએએસએલને SEBIની મંજૂરી

મુંબઈઃ દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ – બીએસઈની પેટા કંપની બીએએસએલને એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સના એક્રેડિટેશન માટેની ઍજન્સી તરીકે કામ કરવા સેબીએ મંજૂરી આપી છે.

બીએએસએલ (બીએસઈ ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ સુપરવિઝન લિમિટેડ) બીએસઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. અહીં જણાવવું રહ્યું કે ઑગસ્ટ ૨૦૨૧માં સેબીએ ભારતીય સિક્યૉરિટીઝ માર્કેટમાં પહેલી વાર એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. સેબીએ નક્કી કરેલાં માપદંડના આધારે એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ નામે સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રકારના રોકાણકારોને રોકાણ સંબંધે કેટલીક છૂટછાટો તથા સુવિધાઓ આપવામાં આવશે.

એક્રેડિટેશન ઍજન્સી તરીકે બીએએસએલ એક્રેડિટેશન માટેના અરજદારોના દસ્તાવેજોની ચકાસણી કરશે તથા તેના આધારે એક્રેડિટેશન સર્ટિફિકેટ આપશે. એટલું જ નહીં, એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સને લગતા ડેટાની જાળવણી પણ કરશે.

આ નિમિત્તે બીએસઈના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે કે બીએએસએલ પાસે આ જવાબદારી નિભાવવા માટેનું સંપૂર્ણ તંત્ર તથા મનુષ્યબળ છે.