એટીએમ કેશ ઉપાડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ચાર્જ વધશે

મુંબઈઃ શું તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો? કે તમારા ખાતાના ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) મશીનમાંથી અવારનવાર રોકડ રકમ ઉપાડો છો? તો તમારે આ સમાચાર વાંચવા જોઈએ.

ભારતીય રિઝર્વ બેન્કે ઈન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે અને તમામ બેન્કો – ખાનગી તથા જાહેરક્ષેત્ર – ને એટીએમમાંથી કેશ ઉપાડવા પરના ચાર્જિસ તેમજ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટેના ચાર્જિસ વધારવાની છૂટ આપી છે.

ઈન્ટરચેન્જ ફી શું છે?

બેન્કો એટીએમ સોદાઓ પર જે ચાર્જ લગાડે છે એને ઈન્ટરચેન્જ ફી કહે છે. નવો ચાર્જ આવતી 1 ઓગસ્ટથી લાગુ થશે. ફાઈનાન્સિયલ સોદા માટે ઈન્ટરચેન્જ ચાર્જ રૂ. 15થી વધારી રૂ. 17 કરાયો છે. જ્યારે નોન-ફાઈનાન્સિયલ સોદા માટેનો ચાર્જ રૂ. પાંચથી વધારીને રૂ. 6 કરાયો છે. બેન્ક ગ્રાહકો દર મહિને પોતાની બેન્કના એટીએમમાંથી પાંચ વખત મફત એટીએમ સોદાને પાત્ર છે. આમાં ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ સોદાઓ સામેલ છે. ગ્રાહકો અન્ય બેન્કોના એટીએમમાંથી પણ મફત સોદાને પાત્ર છે. તેમાં મહાનગર શહેરોમાં ત્રણ સોદા અને નોન-મહાનગર શહેરોમાં પાંચ સોદાનો સમાવેશ છે.