ભારતના સૌથી-મોટા પબ્લિક-ઈસ્યૂ માટે LICને મંજૂરી મળી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) કંપનીને જાહેર ભરણાં દ્વારા ભંડોળ ઊભું કરવા માટે શેરબજાર નિયામક સંસ્થા ‘સેબી’ પાસેથી આજે મંજૂરી મળી ગઈ છે. સરકાર એલઆઈસી (ભારતીય જીવન વીમા નિગમ)માં પોતાનો પાંચ ટકા હિસ્સો આ મહિને વેચી દે એવી ધારણા રખાય છે. એને કારણે દેશની તિજોરીમાં કદાચ રૂ. 60,000 કરોડ આવશે.

એલઆઈસીએ તેના શેરનો પબ્લિક ઈસ્યૂ (આઈપીઓ) બહાર પાડવા માટે ગયા ફેબ્રુઆરીમાં માર્કેટ રેગ્યૂલેટર ‘સેબી’ને પોતાના મુસદ્દા દસ્તાવેજો સુપરત કર્યા હતા. સરકાર આ ઈસ્યૂ દ્વારા 31,62,49,885 ઈક્વિટી શેર વેચવા મૂકશે. નેટ ઈસ્યૂના 50 ટકા શેર ક્વાલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોને ફાળવવામાં આવશે. બાકીના 15 ટકા શેર બિન-સંસ્થાકીય ઈન્વેસ્ટરો માટે અનામત રખાશે. 35 ટકા શેર જનતાને ઓફર કરાશે. એલઆઈસી કંપની તેના પાત્ર કર્મચારીઓ અને પોલિસીધારકો માટે પણ શેરનો અમુક ભાગ અનામત રાખે એવી ધારણા છે. એલઆઈસીની છ પેટાકંપનીઓ છે.