વર્ચ્યુઅલ કરન્સી પોન્ઝી સ્કીમ જેવો પરપોટો હોવાની શક્યતાઃ નાણામંત્રાલય

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીની કિંમતમાં તાજેતરમાં જ અભૂતપૂર્વ વધારો થયો છે. આ કરન્સીને સરકાર દ્વારા કોઈ સમર્થન મળ્યું નથી અને સાથે જ તે કાયદેસર ચલણ પણ નથી. ત્યારે સરકારે વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરી રહેલા લોકોને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે વર્ચ્યુઅલ કરન્સી પોન્ઝી સ્કીમ જેવો પરપોટો હોઈ શકે છે તેથી તમામ લોકોએ ખૂબ જ સાવચેતી રાખવી અને તેના રોકાણમાં ખોટી રીતે ફસાવું નહી.

મહત્વનું છે કે આ કરન્સીઓને સિક્કા સ્વરૂપે પણ વર્ણવવામાં આવે છે. જોકે આ સિક્કાઓનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. એટલે વર્ચ્યુઅલ ‘કરન્સી’ ન તો ચલણ છે, કે ન તો સિક્કા. ભારત સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ વીસીને આદાનપ્રદાનનાં માધ્યમ તરીકે માન્યતા આપી નથી. ઉપરાંત સરકાર કે ભારતમાં કોઈ પણ નિયમનકારી સંસ્થાએ કોઈ પણ એજન્સીને કોઈ પણ વીસીનાં આદાનપ્રદાન કરવા કે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી તરીકે કામ કરવા લાઇસન્સ પણ આપ્યું નથી.

ઉલ્લેખનીય છે કે વીસીનાં વપરાશકર્તાઓ, ધારકો અને વેપારીઓને ડિસેમ્બર, 2013, ફેબ્રુઆરી, 2017 અને ડિસેમ્બર, 2017માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ત્રણ વખત ચેતવણી આપી છે તથા તેની સાથે સંકળાયેલા નાણાકીય, સંચાલકીય, કાયદેસર, ગ્રાહક સંરક્ષણ અને સુરક્ષા સાથે સંકળાયેલ સંભવિત જોખમોથી વાકેફ કર્યા છે, જેમાં તેમને બિટકોઇન અથવા અન્ય વીસીમાં રોકાણ કરવાથી તેમને કેવા જોખમનો સામનો કરવો પડશે એ સમજાવવામાં આવ્યું હતું. આરબીઆઈએ સ્પષ્ટતા પણ કરી છે કે, બિટકોઇન કે અન્ય કોઈ પણ વર્ચ્યુઅલ કરન્સી સાથે સંબંધિત કોઈ પણ સ્કીમ કે ડિલમાં કામ કરતી કોઈ પણ કંપની કે સંસ્થાને લાઇસન્સ અથવા અધિકૃતતા આપવામાં આવી નથી. સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે વીસી કાયદેસર ચલણ નથી અને આ પ્રકારનાં વીસી ભારતમાં કોઈ નિયમનકારી મંજૂરી કે સંરક્ષણ ધરાવતાં નથી. એટલે વીસી સાથે સંકળાયેલા કોઈ પણ વ્યવહારમાં સંકળાયેલા રોકાણકારો અને અન્ય સહભાગીદારોએ તેમનાં જોખમે રોકાણ કરવું જોઈએ અને શક્ય હોય તો તેમાં સહભાગી થવાનું ટાળવું જોઈએ, જે તેમનાં હિતમાં છે.”