‘સેબી’ના ઈન્વેસ્ટમેન્ટ-એડવાઈઝર્સની કામગીરી પર દેખરેખ રાખશે બીએસઈ-એજન્સી

મુંબઈ: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ એક સંપૂર્ણ માલિકીની સબસિડિયરી  કંપની “બીએસઈ એડમિનિસ્ટ્રેશન એન્ડ સુપરવિઝન લિમિટેડ” (બીએએસએલ)ની સ્થાપના કરી છે.  (બીએએસએલ)ની સ્થાપના બધા SEBI-રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ (આરઆઇએ)ના વહીવટ અને પ્રવૃત્તિ પર દેખરેખ રાખવા માટે કરવામાં આવી છે. બીએએસએલ (https://www.bseasl.com/ria/index.html)ને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સની કામગીરી પર દેખરેખ રાખવાની કામગીરીને સેબીની માન્યતા પ્રાપ્ત થઈ છે અને કંપનીએ 1 જૂન, 2021થી તેની કામગીરી શરૂ કરી દીધી છે.

તમામ વર્તમાન સેબી રજિસ્ટર્ડ આઈએ અને ઇન્વેસ્ટમેંટ એડ્વાઇઝર તરીકે રજિસ્ટ્રેશન મેળવવા ઇચ્છુક નવા અરજદારોએ સભ્ય તરીકે બીએએસએલ સાથે નોંધણી કરાવવી પડશે.

આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે  ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના વહીવટ અને દેખરેખના કાર્ય માટે બીએસઈમાં વિશ્વાસ મૂકવા બદલ અમે સેબીના આભારી છીએ. મૂડીબજારના રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટ સલાહ એક મહત્ત્વપૂર્ણ સેગમેન્ટ તરીકે ઊભરી છે. એડવાઈઝરી સર્વિસીસ ક્ષેત્રે પર્સનલ સર્વિસીસથી લઈને ટેકનોલોજીના વપરાશ દ્વારા સોફિસ્ટિકેટેડ રોબો એડવાઈઝરી સુધીનો વિકાસ કર્યો છે. બીએસઈ તેના 146 વર્ષના મોખરાના નિયામક તરીકેના અનુભવને કામે લગાડી એનું ધ્યાન રાખશે કે બીએએસએલ વહીવટ અને કામકાજની પદ્ધતિનાં ઉચ્ચ ધોરણો જાળવે. મૂડીબજારમાં રોકાણકારોના વિશ્વાસમાં વૃદ્ધિ કરવાન દિશામાં સેબીનું આ પગલું મહત્ત્વપૂર્ણ છે.