બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10-કરોડને વટાવી ગઈ

મુંબઈ તા. 16 માર્ચ, 2022: બીએસઈમાં હાલ વધુ એક વિક્રમ નોંધાયો હતો, રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી જતાં બીએસઈની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું હતું.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે બીએસઈ તેના 147 વર્ષના ઈતિહાસમાં રાષ્ટ્રઘડતર અને મૂડીસર્જન માટેના ઉદ્દીપકની ભૂમિકા નિભાવતું રહ્યું છે. મોટી સંખ્યામાં રોકાણકારો ભારતીય શેરબજાર સાથે જોડાઈ રહ્યા છે તે ભારતીય સરકારમાં, તેની નિયામક એજન્સીઓ અને દેશના અર્થતંત્રના વિકાસમાં મૂકેલા વિશ્વાસને દર્શાવે છે, જેના દ્વારા દેશ પાંચ ટ્રિલ્યન અમેરિકી ડોલરનું અને તેથી પણ અધિક મોટા કદના અર્થતંત્ર તરીકે ઊભરવાના લક્ષ્યને હાંસલ કરી શકશે.

બીએસઈમાં માત્ર 91 દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં એકાઉન્ટસ ખૂલ્યાં હતાં. 15 ડિસેમ્બર, 2021ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા 9 કરોડની હતી.

રોકાણકારોની સંખ્યામાં આ બીજા ક્રમાંકનો સૌથી ઝડપી વધારો છે. આ પૂર્વે 85 દિવસમાં રોકાણકારોની સંખ્યામાં એક કરોડની વૃદ્ધિ થઈ હતી.

બીએસઈએ બહાર પાડેલા આંકડા અનુસાર શેરબજારના રોકાણકારો (યુનિક ક્લાયન્ટ કોડ્સ)ની સંખ્યા છેલ્લા ત્રણ મહિનામાં એક કરોડથી અધિક વધી છે, જે અત્યાર સુધીમાં સૌથી ઝડપી વધારો છે. આ પૂર્વે રોકાણકારોની સંખ્યામાં એક કરોડનો વધારો થતાં છ મહિના (જાન્યુઆરીથી જૂન 2021) લાગ્યા હતા. સેબીએ બહાર પાડેલા આંકડા અનુસાર જૂન 2021ના અંતે ડિમેટ ખાતાંની સંખ્યા 6.62 કરોડની થઈ હતી.