નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને ભારત પર હુમલા તેજ કર્યા છે, જેથી ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભારતે ડ્રોનથી પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ, લાહોર બહાવલપુર અને સિયાલકોટ સહિત ચાર મોટાં શહેરોમાં હુમલો કર્યો છે. સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી છે.
પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતા સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાંઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક ચાલી રહી છે.
પાકિસ્તાને ગુરુવારે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેવું જણાવવામાં આવ્યું હતું.
