ભગવંત માનના રોડ શોમાં લાગ્યા ‘મોદી મોદી’ના નારા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી માટે હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતમાં મેદાનમાં ઉતર્યા છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડ શો યોજ્યો હતો.

ભગવંત માનનો ઉમરગામમાં રોડ શો

ઉલ્લેખનિય છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલ 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આથી અશોકભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામમાં રોડ શોમાં પહોંચ્યા હતા. તેમના રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોક પટેલ પણ જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડ શો દરમ્યાન અને ભગવંત માનના  સંબોધન વખતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા. જેને કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. જોકે ફરજ પર તૈનાત  પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને દૂર કર્યા હતા.

ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા

ઉમરગામમાં પોતાના સંબોધન વખતે પણ ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવતા ભગવંત માને પણ ભાજપના કાર્યકર્તાઓ પર ટિપ્પણી કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમરગામમાં યોજાયેલા રોડ શોમાં ભગવંત માને ઉપસ્થિત લોકોને આ વખતે બદલાવ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલને વિજય અપાવવા માટે લોકોને અપીલ કરી હતી.