હરિદ્વાર: તીર્થનગરી હરિદ્વારના કુંભ ક્ષેત્રમાં બિનહિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધની માગ વચ્ચે હરકી પૌડી પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડમાં હરકી પૌડીને ‘બિનહિન્દુ પ્રવેશ નિષેધ ક્ષેત્ર’ તરીકે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે બિનહિન્દુઓના પ્રવેશ પર રોકની સૂચના આપવામાં આવી છે. શુક્રવાર સવારથી હરકી પૌડીની વ્યવસ્થા સંભાળતી સંસ્થા ગંગા સભા દ્વારા બ્રહ્મકુંડ અને તેની આસપાસ આ બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડ ગંગા સભાને નામે નહીં, પરંતુ મ્યુનિસિપાલિટી બાયલોઝના હવાલાથી લગાવવામાં આવ્યાં છે.
વાસ્તવમાં, ગયા મંગળવારે બે યુવકો અરબી શેખની વેશભૂષામાં હરકી પૌડી પર ફરતા જોવા મળ્યા હતા, જેમની તસવીરો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. ગંગા સભા સાથે જોડાયેલા તીર્થ પુરોહિતોનું કહેવું છે કે પહેલેથી અસ્તિત્વમાં રહેલા નિયમોના આધારે આ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જેથી લોકો હરકી પૌડી વિસ્તારમાં પ્રવેશના નિયમો વિશે જાગ્રત થઈ શકે.
પોસ્ટર લગાવવાનો હેતુ શો છે
હરિદ્વારના તીર્થ પુરોહિત ઉજ્જવલ પંડિતે જણાવ્યું હતું કે બોર્ડ લગાવવાનો હેતુ માત્ર એટલો છે કે દરેકને અહીંના નિયમો અને મર્યાદાઓની જાણ રહે. અગાઉ પણ આવાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ કેટલાંક નુકસાન પામ્યાં હતાં. અમારો ઉદ્દેશ એ છે કે સનાતન ધર્મના આ પવિત્ર સ્થળ પર આવનારી દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે અહીં કયા નિયમો લાગુ પડે છે અને કયા ધર્મના લોકોનો અહીં પ્રવેશ યોગ્ય છે.
હરિદ્વારમાં આગામી વર્ષે યોજાશે કુંભ મેળો
હરિદ્વારમાં કુંભ મેળો આગામી વર્ષની શરૂઆતમાં યોજાવાનો છે. નીતિન ગૌતમનું કહેવું છે કે હરિદ્વાર નગર નિગમના જૂના બાયલોઝમાં આવા નિયમોનો ઉલ્લેખ મળે છે. આ નિયમો વર્ષ 1916માં બનાવવામાં આવ્યા હતા, જ્યારે દેશમાં બ્રિટિશ શાસન હતું. આ નિયમોનો હેતુ હરિદ્વારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાનો હતો. તેના હેઠળ હરકી પૌડી અને આસપાસના ધાર્મિક વિસ્તારોમાં બિનહિન્દુઓને જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં, સૂર્યાસ્ત પછી કોઈપણ ગેર-હિન્દુ દુકાનદાર અથવા વેપારીને ત્યાં રોકાવાની મંજૂરી નહોતી.



