અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રાખવામાં આવેલા દાનપાત્રોમાંથી ચઢાવાની ચોરી થવાના ચકચારી મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પહેલીવાર સત્તાવાર અને આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ કમનસીબ ઘટનાથી દેશ-વિદેશના કરોડો રામભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચી છે. તેમણે માંગ કરી છે કે આ ગુનામાં સામેલ તમામ દોષિતોને કડક સજા મળવી જોઈએ અને મંદિરના વહીવટમાં રહેલી તમામ ખામીઓને તાત્કાલિક દૂર કરી સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.
સદીઓના સંઘર્ષનું કેન્દ્ર છે રામ મંદિર: RSS
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, રામ જન્મભૂમિ પર નિર્મિત આ ભવ્ય મંદિર પેઢીઓના લાંબા સંઘર્ષ અને કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ તેમજ બલિદાનના કારણે સમગ્ર હિન્દુ સમાજ માટે સર્વોચ્ચ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. તેમણે ઉમેર્યું કે આવા પવિત્ર રામલલા મંદિરમાં રાખેલા દાનપાત્રોમાંથી રકમની ચોરી થવી એ અત્યંત દૂષિત અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આનાથી RSS સહિત સમગ્ર સમાજ અને રામભક્તોની સંવેદનાઓને ઊંડો આઘાત લાગ્યો છે.
Statement issued by Dattatreya Hosabale, Sarkaryavah (General Secretary) of the Rashtriya Swayamsevak Sangh (RSS).
New Delhi, July 3, 2026The grand temple constructed at the Shri Ram Janmabhoomi has become a center of reverence, faith, and devotion for the entire Hindu society,… pic.twitter.com/ppdkc8kuwU
— RSS (@RSSorg) July 3, 2026
SIT ની તપાસ અને કડક પગલાંની અપેક્ષા
દત્તાત્રેય હોસબાલેએ નોંધ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ મામલાની ગંભીરતાને સમજીને વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ તપાસમાં જે કોઈ પણ વ્યક્તિ દોષિત સાબિત થાય, તેને કાયદા મુજબ આકરામાં આકરી સજા મળવી ખૂબ જ જરૂરી છે. નિવેદનમાં આગળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે RSS અને સમગ્ર હિન્દુ સમાજની એ સ્વાભાવિક અપેક્ષા છે કે રામ મંદિરના દાન સાથે જોડાયેલી ચોરી જેવી આ ગંભીર ઘટનાને જરાય હળવાશથી લેવામાં નહીં આવે. આને એક અસાધારણ કેસ માનીને મંદિરની વ્યવસ્થા અને મેનેજમેન્ટમાં જે કોઈ પણ છીંડા કે ખામીઓ રહી ગઈ છે, તેને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે, જેથી કરોડો રામભક્તોનો મંદિરના વહીવટ પર ભરોસો અને આસ્થા અકબંધ રહે.
સંઘનું કહેવું છે કે હાલમાં આ ઘટનાને કારણે સામાન્ય લોકો વચ્ચે ભ્રમ અને અનેક સવાલોની સ્થિતિ ઊભી થઈ છે, જેને વહેલી તકે ખતમ કરવી અનિવાર્ય છે. આ માટે મંદિર પ્રશાસન અને સરકાર દ્વારા બનાવવામાં આવેલી SIT તમામ જરૂરી અને કડક પગલાં ભરે તે જરૂરી છે.
સંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો મંદિરની નાણાકીય વ્યવસ્થા સંપૂર્ણપણે પારદર્શક હશે, મંદિરનું સંચાલન યોગ્ય રીતે થશે અને ધાર્મિક પવિત્રતા જળવાઈ રહેશે, તો શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હિન્દુ સમાજના વિશ્વાસ અને શ્રદ્ધાને પહેલાની જેમ જ મજબૂત બનાવી રાખવામાં સફળ થશે.
શું છે સમગ્ર દાન ચોરીનો મામલો?
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો એક મોટો મામલો તાજેતરમાં સામે આવ્યો છે, જેમાં આશ્ચર્યજનક રીતે મંદિરની આંતરિક વ્યવસ્થા જોતા અલગ-અલગ લોકો જ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં કાર્યવાહી કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઈવર ટિન્નુ યાદવ સહિત કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આ આરોપીઓમાં મંદિરના દાનની ગણતરી કરનારા સ્ટાફના સભ્યો પણ સામેલ છે.

