આપણે ચક્ષુદાન, ત્વચા દાન અને દેહદાન વિશે સાંભળ્યું છે, કિંતુ અંગ દાન (ઓર્ગન ડોનેશન) વિશે આપણને પર્યાપ્ત જાણકારી નથી. આ એક એવું મહાદાન છે, જે ઘણાં બધાંની જીંદગીમાં નવું ચેતન અને ઉર્જા લાવી શકે છે. આ વિશે સમાજમાં જોઈએ તેટલી જાગ્રતિ નહી હોવાથી આ વિશે લોકોમાં સાચું માર્ગદર્શન આપવાના આશય સાથે મુંબઈના કાંદિવલી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ.
કાંદિવલી સ્થિત પાંચેક સંસ્થાઓ, એસીઆઇ (એઈડઝ કોમ્બેટ ઈન્ટરનેશનલ) , મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રગતિ મિત્ર મંડળ, કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ)એ સંયુકત સ્વરૂપે 28 જુનના શનિવારે સાંજે પાંચ થી સાત કાંદિવલીમાં એક માર્ગદર્શક પરિસંવાદનું આયોજન થયુ. આ પરિસંવાદના મુખ્ય વકતા નિલેશ માંડલેવાલા હતાં. જેઓ છેલ્લા અઢી દાયકાથી આ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
સુરતની નિલેશ માંડલેવાલા સ્થાપિત સંસ્થા ડોનેટ લાઈફ ઓર્ગન ડોનેશનનું કાર્ય દેશભરમાં એક યજ્ઞની જેમ કરી રહી છે. ઓર્ગન ડોનેશન બ્રેઈનડેડ વ્યકિતનું થઈ શકે છે, જેમાં કિડની, લીવર, હાર્ટ, પેન્ક્રિયાઝ, ફેફસા, આંતરડા, હાથ, વગેરે સહિત વિવિધ અંગોનું દાન જરૂરતમંદ લોકોને થઈ શકે છે. આ સંસ્થાએ અનેક લોકોને નવું જીવન આપ્યું છે.
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ એસીઆઇના સ્થાપક ડો. ગીરિશ ત્રિવેદીએ સાથે નિલેશભાઇ માંડેલવાલાનો પરિચય આપ્યો. નિલેશભાઈ દ્વારા વિવિધ કિસ્સાઓ સાથે ઓર્ગન ડોનેશનનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યુ. આ સાથે વિષય સંબંધિત જાણીતા ગાયકો દ્રારા સંગીત અને ગીતોની પ્રસ્તુતિ પણ થઈ. અંતમાં શ્રોતાઓ સાથે પ્રશ્ર્નોત્તરી સત્ર યોજાયું. આ પ્રસંગે રકતદાન અને ઓર્ગન ડોનેશન સહિતની અનેક સામાજીક સેવાની પ્રવૃતિઓમાં અગ્રેસર એવા સન્ડે ફ્રેન્ડસ ગ્રુપ સહિત વિવિધ અન્ય સામાજીક સંસ્થાઓ પણ હાજર રહી. આ પરિસંવાદનો ઉદેશ ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ ફેલાવવાનો છે.
