કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો ફટકો, તાત્કાલિક સુનાવણીનો ઈનકાર

દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ અને અટકાયતને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ કેજરીવાલની અરજી પર 27 માર્ચે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલના વકીલ વતી હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તે આ મામલે તાત્કાલિક સુનાવણી કરે. આ કેસની લિસ્ટિંગ હવે બુધવારે થશે.

ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં EDને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.

નવમા સમન્સ પછી પણ કોર્ટનો સંપર્ક કર્યો

ઈડીએ જારી કરેલા નવમા સમન્સ બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમને 21 માર્ચે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ) સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 6 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.