અમરેલી ધારી અને સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ

અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ધારી પંથક અને સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના છતડિયા  મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક કેરી,  તલ,  બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે.  વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા.  સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત છે.

સાવરકુંડલા શહેર બાદ આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી,  ચરખડિયા સહિતનાં ગામોમાં વરસાદ નોંધાયો છે. ખેતરોમા વરસાદી પાણી વહેતાં થયાં છે.  વીજળીના કડાકાભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે.વામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે. 

સૌરાષ્ટ્ર કચ્છમાં આવતી કાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે.  સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. અત્યાર સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.