ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે. તેમણે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને માત્ર 6 થઈ ગઈ છે. પહેલા આ આંકડો 12 હતો, પરંતુ સરકારે છેલ્લા કેટલાક મહિનામાં નક્સલવાદ વિરુદ્ધ જે રીતે ઝુંબેશ શરૂ કરી છે તેનાથી રાહત મળી છે. હવે દેશના ફક્ત 6 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત બાકી છે. અમિત શાહે ફરી એકવાર પોતાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો છે કે દેશ 31 માર્ચ, 2026 સુધીમાં સંપૂર્ણપણે નક્સલ મુક્ત થઈ જશે. તેમણે X પર લખ્યું કે મોદી સરકાર એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત બનાવી રહી છે. આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ અને દેશ ઝડપથી નક્સલમુક્ત બની રહ્યો છે. ભારત ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે નક્સલ મુક્ત થઈ જશે.
Taking a giant stride towards building a Naxal-free Bharat, today our nation achieved a new milestone by significantly reducing the number of districts most affected by left-wing extremism to just 6 from 12. The Modi government is building a Sashakt, Surakshit and Samriddh Bharat…
— Amit Shah (@AmitShah) April 1, 2025
તેમણે કહ્યું કે ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. “નક્સલવાદ મુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા, આજે આપણા દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટાડીને ફક્ત છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે,” શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત જિલ્લાઓ એવા છે જ્યાં નક્સલી પ્રવૃત્તિઓ અને હિંસા હજુ પણ ચાલુ છે.
આ જિલ્લાઓને ‘સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ’ તરીકે પેટા-વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ 2015 માં રજૂ કરાયેલ પરિભાષા છે. આ ઉપરાંત, ‘ચિંતાવાળા જિલ્લાઓ’ ની પેટા-શ્રેણી પણ છે. આ પેટા શ્રેણી 2021 માં બનાવવામાં આવી હતી. છેલ્લી સમીક્ષા મુજબ, 12 ‘સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ’ હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ, 2015 માં આવા 35 જિલ્લાઓ, 2018 માં 30 જિલ્લાઓ અને 2021 માં 25 જિલ્લાઓ હતા. હવે આ આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. એ સ્પષ્ટ છે કે છેલ્લા 10 વર્ષમાં 29 જિલ્લાઓમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવ્યો છે અને હવે તે ફક્ત 6 જિલ્લાઓમાં જ બચ્યો છે.
