વિવાદો વચ્ચે કંગના રનૌતની ઇમરજન્સી મોકૂફ

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી વિવાદોમાં છે. પહેલા પંજાબમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. તે પછી એવા સમાચાર પણ આવ્યા છે કે ફિલ્મને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. હવે સમાચાર છે કે આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે. હવે આ ફિલ્મ તેની નિર્ધારિત તારીખે રિલીઝ થશે નહીં.

ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેણે X પર એક પોસ્ટ કરી અને લખ્યું, ઇમરજન્સી મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. જો કે કંગના દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. આ ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થયું હતું. ત્યારથી વિવાદ ચાલુ છે.