મ્યાનમાર, થાઇલેન્ડ પછી હવે લદ્દાખમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ મ્યાનમાર, થાઇલેન્ડ, પાકિસ્તાન બાદ હવે દેશના લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સાંજે  5.38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. લેહમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ લેહમાં સાંજે 5.38 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. હાલ જાનમાલને નુકસાન થઈ હોવાની કોઈપણ માહિતી સામે આવી નથી.

આ પહેલાં  હોળી-ધુળેટીની ઉજવણી વખતે લદાખના કારગિલમાં વહેલી સવારે જ 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર 15 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી રહી છે.

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે જાણકારી શેર કરી હતી કે જમ્મુ અને શ્રીનગર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહ-લદાખ બંને દેશના ભૂંકપના ક્ષેત્ર-IV હેઠળ આવે છે જેનો અર્થ એ છે કે ભૂકંપની દ્રષ્ટિએ તે વધારે જોખમી વિસ્તારો છે. ટેક્ટોનિક રૂપે સક્રિય હિમાલય ક્ષેત્રમાં આવેલું હોવાને કારણે લેહ અને લદાખમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાય છે.