સોનાક્ષી સિન્હાએ ભાઈને કારણે ન કર્યા ભવ્ય લગ્ન, પોતે જ કર્યો ખુલાસો

મુંબઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને બે મહિના થઈ ગયા છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં આ કપલે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા, પરંતુ તે પછી પણ આ લગ્નની ઘણી ચર્ચાઓ થઈ હતી. સોનાક્ષી-ઝહીરના લગ્નને લઈને સિન્હા પરિવારને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ અભિનેત્રીએ ટ્રોલિંગની પરવા કર્યા વિના તેના સાત વર્ષના લાંબા સંબંધોને લગ્નમાં બદલ્યો. સોનાક્ષી સિંહાએ તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા અને તેમના બંને રિસેપ્શનમાં માત્ર મર્યાદિત મહેમાનો જ હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ તેના સાદગીભર્યા લગ્ન પાછળનું કારણ જણાવ્યું છે.

 (Photo: IANS)

સોનાક્ષીએ પોતાની માતાને પોતાની લાગણી જણાવી

ગલાટા ઈન્ડિયા સાથે વાત કરતા સોનાક્ષીએ જણાવ્યું કે તેના ભાઈ કુશના કારણે તેણે નક્કી કર્યું હતું કે તે બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ નહીં કરે. અભિનેત્રીએ જણાવ્યું કે ભાઈ કુશના લગ્ન પછી તેણે નક્કી કર્યું હતું કે તે ખૂબ જ સાદાઈથી લગ્ન કરશે. તેના ભાઈના લગ્ન પછી જ સોનાક્ષીએ પોતાની લાગણી માતા પૂનમ સમક્ષ સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તે કેવા લગ્ન ઈચ્છે છે.

સોનાક્ષીએ ભવ્ય રીતે લગ્ન કેમ ન કર્યા?

જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે શું સેલિબ્રિટી હોવાના કારણે તેના પર ભવ્ય લગ્ન કરવાનું દબાણ નહોતુ? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું,’દબાણ હતું, પરંતુ અમે કેવા લગ્ન ઈચ્છીએ છીએ તે અંગે અમે એકદમ સ્પષ્ટ હતા. થોડા વર્ષો પહેલા મારા ભાઈ (કુશ) ના લગ્ન થયા, જે ભવ્ય ઈન્ડિયન લગ્ન હતા. મારા ભાઈના દરેક લગ્ન સમારોહમાં લગભગ 5,000 થી 8,000 લોકો હાજર હતા. આ લગ્ન પછી મેં મારી માતાને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે મારા લગ્ન આ રીતે નહીં થાય. નોંધનીય છે કે સોનાક્ષી સિન્હાના ભાઈ કુશે 2015માં તરુણા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.

સોનાક્ષીએ આગળ કહ્યું,’તો અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે અમે આટલા ધામધૂમથી લગ્ન નહીં કરીએ. તેણે કહ્યું, આ દિવસ આપણા જીવનમાં માત્ર એક જ વાર આવે છે અને તે ખૂબ જ ખાસ છે. તેથી અમે તેને એ રીતે કરવા માગતા હતા જે રીતે અમે ઈચ્છતા હતા. જો કે, અમારા કેટલાક મિત્રો હતા જે અમારા નિર્ણયથી ખુશ ન હતા, કારણ કે તેઓ બધા વધારે ફંક્શન ઇચ્છતા હતા. જેમ કે, હુમા, મારો મિત્ર અને સ્ટાઈલિશ મોહિત. મોહિતે કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે તું તારા લગ્નમાં પાંચ વખત તારો ડ્રેસ બદલે’, પરંતુ મેં મારો આઉટફિટ માત્ર એક જ વાર બદલ્યો. આવી સ્થિતિમાં તે ગુસ્સે થઈ ગયો હતો.’

ભાઈ લવ લગ્નમાં હાજર ન હતા

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે જૂનના છેલ્લા સપ્તાહમાં તેમના ઘરે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. જે બાદ તેણે તે જ સાંજે રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સોનાક્ષી-ઝહીરે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. સોનાક્ષીનો ભાઈ કુશ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો, પરંતુ લવ બહેનના લગ્નના કોઈ પણ ફંક્શનમાં ગયો નહોતો.