નવી દિલ્હી: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ 2,000 પ્રતિનિધિઓ માટે એક ભવ્ય વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક પ્રભાવ માટે એશિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ‘AVPN’ની આ 13મી ગ્લોબલ કોન્ફરન્સ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે, જેમાં વિશ્વભરના પરોપકારીઓ, નીતિ-નિર્માતાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ એકત્રિત થયા છે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશનની 30 વર્ષની સફરે આપણને શીખવ્યું છે કે સ્થાયી સામાજિક પરિવર્તન સમુદાયોને સશક્ત બનાવવાથી જ શક્ય બને છે. જટિલ સામાજિક પડકારો સામે એકબીજાના સફળ પ્રયોગોમાંથી શીખીને મજબૂત ભાગીદારી બનાવવી જરૂરી છે.
11 ઓગસ્ટ 1996ના રોજ સ્થાપિત અદાણી ફાઉન્ડેશને 30 વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં 22 રાજ્યના 7,200થી વધુ ગામડાઓમાં પહોંચી 1.3 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આણ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી પરિવારે હેલ્થકેર, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ માટે ₹60,000 કરોડના યોગદાનની પ્રતિબ્ધતા જાહેર કરી છે. જે અંતર્ગત ‘અદાણી હેલ્થ સિટીઝ’નો પ્રથમ તબક્કો મુંબઈ અને અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે, જ્યારે બિહારના પીરપૈંતીમાં 200 બેડની હોસ્પિટલ સ્થાપવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે.




