ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ

કમોસમી માવઠા અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે 198 તાલુકામાં 47 મીમી સુધીનો વરસાદ થયો છે. જેના કારણે 15 જિલ્લામાં પાક નુકસાન થયુ છે. આ અંગે સર્વેની 565 ટીમોએ કામ કર્યુ છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરવામાં આવી હતા. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલોને આધારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરી છે.

565 સર્વે ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે. તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લીધી છે. જે અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું હોય તેને સહાય

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે રાજ્યના 64 તાલુકાના 27 ગામોથી વધુમાં 1.99 હજાર હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે.આ સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની વિચારણા કરવામા આવી રહી છે. મંત્રીએ જણાવ્યું હતુ કે 15 જિલ્લાના 2700થી વધુ ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ 15 જિલ્લામાં 42,610 હેક્ટરમાં નુક્સાન થયુ હોવાનો અહેવાલ મળી રહ્યો છે. જેમાં 33 % કે તેથી વધુ નુક્સાનીનો વિસ્તાર નક્કી કરાયો છે. અને હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે પહેલા તબક્કાના અંદાજીત નુકશાન થયું હોવાનું સામે આવ્યુ છે. જેથી સરકાર સહાયના ધોરણોમાં વિચાર કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

કૃષિમંત્રીએ ગૃહમાં આપી હતી વિગતો 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ  કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય અંગે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી અને તેમણે 2017 થી લઈ અત્યાર સુધી વારંવાર ખેડૂતોને સહાય ચુકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે આંકડા રજૂ કરતાં કહ્યું હતુ કે છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને 10 હજાર કરોડ કરતા પણ વધારેની સહાય કરી છે.