20 નહીં, 28 વિસ્તારોને ભારતે કર્યા ધ્વસ્ત’: પાકિસ્તાનની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ઘણી પ્રશંસા થઈ છે. આ દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. હવે ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના ડોઝિયરમાં મોટો ખુલાસો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેના દ્વારા જેટલું કહેવામાં આવ્યું હતું, તે કરતાં ઘણી વધુ હાનિ પાકિસ્તાનને પહોંચી છે.

ભારતે ઓપરેશન સિંદૂરમાં માત્ર આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતા, પણ ત્યાર બાદ પાકિસ્તાની સેના દ્વારા નવો મોરચો ખોલવામાં આવ્યો હતો. પાકિસ્તાને ભારતનાં ઘણાં શહેરોને ડ્રોન અને મિસાઈલથી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેના એ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. આ ઉપરાંત ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનનાં ઘણાં વાયુસૈનિક મથકોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં, જેમાં ભારે નુકસાન થયું.

ભારતે 20 નહિ, પણ 28 જગ્યાઓને બનાવ્યાં નિશાન

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાન અનેક વખત ખોટા દાવાઓ કરી ચૂક્યું છે, પણ હવે તેના ડોઝિયરમાંથી તેનું સાચો ચહેરો સામે આવ્યો છે. આ ડોઝિયરમાંથી ખબર પડી છે કે ભારતે અંદર સુધી જઈને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં માત્ર 20 નહિ, પરંતુ 28 સ્થળોએ હુમલા કર્યા હતા. ભારતીય સેના દ્વારા પત્રકાર પરિષદમાં આ તમામ સ્થળોના ઉલ્લેખ વગર જ માહિતી આપવામાં આવી હતી, પણ હવે ડોઝિયરમાંથી પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, બહાવલનગર અને છોર સહિતની જગ્યાઓને નુકસાન પહોંચ્યું હોવાની પાકિસ્તાને કબૂલાત કરી છે.

ભારતે પાકિસ્તાનના અનેક સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં. તેણે નૂર ખાન, રફfકી, મુરીદકે, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર જવાબી કાર્યવાહી કરી હતી. તાજેતરમાં મૈક્સાર ટેકનોલોજીઝે સેટેલાઈટ ઈમેજ જાહેર કરી હતી. જેના દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાંઓને થયેલા નુકસાનનો ખુલાસો થયો હતો.