અંબાજી બીજા દિવસે સજ્જડ બંધ

યાત્રાધામ અંબાજી આજે સતત બીજા દિવસે બંધ રહ્યું છે. અંબાજીમાં આરોગ્ય બાબતે દવાખાનામાં અપૂરતી સુવિધાને પગલે આંદોલનના મંડાણ થયા છે. અંબાજી ભારતનુ મોટું તિર્થ સ્થળ છે, જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાને ખર્ચે હોસ્પિટલ બનાવાઈ છે. પરંતુ અંબાજીની આસપાસ બનતા અકસ્માતોના બનાવ કે પછી મહિલાઓને લગતી કોઈ બીમારી માટે પૂરતા ડોકટર નથી. છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં 30થી 45 વયના અનેક યુવાનો હાર્ટઅટેકથી મોતને ભેટ્યા છે, જેના આક્રોશને પગલે અંબાજીના યુવાનો દ્વારા લોક રક્ષક સમિતિ બનાવી, અંબાજીની હોસ્પિટલમાં પૂરતી સુવિધા મળી રહે તે માટે આંદોલન શરૂ કર્યું છે, વહીવટી તંત્રને વારંવાર આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી પણ તેનો કોઈ નિકાલ ન આવતા અંતે અંબાજી બંધનું એલાન અપાયું હતું. સતત બીજા દિવસે પણ અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું. અંબાજી હોસ્પિટલના પેચિદા બનેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે તો લોક હિત રક્ષક સમિતિના કન્વીનર લોકેશ જૈને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)