મધદરિયે ફસાયેલા બાર્જ પરથી કર્મચારીઓને ઉગારી લેવાયા

ભારતીય નૌકાદળે મુંબઈના સમુદ્રકાંઠાથી આશરે 48 દરિયાઈ માઈલના અંતરે મધદરિયે આવેલા બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર ખાતે એક બાર્જ (માલવાહક જહાજ) P305 પર ફસાઈ ગયેલા કર્મચારીઓને 18 મે, મંગળવારે સવારે બચાવી લીધા હતા.

બાર્જ પરથી SOS સંદેશ મળ્યા બાદ નૌસૈનિકોએ વાવાઝોડું તાઉ’તે પસાર થતાં 200 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન અને અતિશય ભારે વરસાદને કારણે તોફાની બનેલા દરિયામાં વિકરાળ રીતે ઉછળતા મોજાં વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી હતી.

કર્મચારીઓને બાર્જ પરથી હેલિકોપ્ટરની મદદથી ઉગારીને દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત ભારતીય નૌકાદળના એર સ્ટેશન આઈએનએસ શિકરા ખાતે તબીબી સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.

મધદરિયે બે બાર્જ પર કર્મચારીઓ ફસાઈ ગયા હતા. ‘પી-305’ બાર્જ પર 273 કર્મચારીઓ હતા જ્યારે ‘ગેલ કન્સ્ટ્રક્ટર’ નામના એક અન્ય બાર્જ પર 137 કર્મચારીઓ હતા.