‘હર ઘર તિરંગા’: રાષ્ટ્રીય ઝુંબેશનો દેશવ્યાપી ઉત્સાહ…

ભારત દેશ તેની આઝાદીનું આ 75મું વર્ષ ઉજવી રહ્યું છે અને તે નિમિત્તે કેન્દ્ર સરકારના ઉપક્રમે દેશના તમામ વહીવટીતંત્રો આ વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અથવા ‘આઝાદીનો અમૃત કાળ’ ઝુંબેશની ઉજવણી કરી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રાષ્ટ્રધ્વજના સમ્માનાર્થે છેક ગત બીજી ઓગસ્ટથી જ દેશવાસીઓને એક વિશેષ ઉજવણી કરવાની અપીલ કરી છે. એમણે નાગરિકોને કહ્યું છે કે તેઓ 15 ઓગસ્ટના આઝાદી દિન પૂર્વે પોતપોતાના ઘર, ઓફિસ, ઈમારતોમાં તિરંગો ફરકાવે. એમની આ અપીલ પાછળનો ઉદ્દેશ્ય દેશવાસીઓમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય, પ્રબળ થાય અને તિરંગા વિશે એમને જ્ઞાન પ્રાપ્ત થાય. આ માટે ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આને માટે દેશભરમાં ભરપૂર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉપરની તસવીર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના શ્રીનગર શહેરના દાલ સરોવરની છે. સરોવરમાં અને કાંઠે તિરંગા રેલીમાં સામેલ થયાં છે સુરક્ષા જવાનો.

દાલ લેક – શ્રીનગર

ઘરમાં તિરંગો ફરકાવવા માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમ-કાયદાનું પાલન કરવું જરૂરી છે. મતલબ કે, રાષ્ટ્રધ્વજને ઉંધો કે જમીનને અડે એ રીતે અથવા સિંગલ ફ્લેગ-પોલ પર ફરકાવી શકાય નહીં. તિરંગાને શરીર પર લપેટી શકાય નહીં. હાથરૂમાલ પર તિરંગાનો ફોટો પ્રિન્ટ કરી શકાય નહીં અને કોઈ પોશાકમાં પણ એનો ઉપયોગ કરી શકાય નહીં. શાસક ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત દેશભરનાં રાજકીય પક્ષો પણ તિરંગા રેલીઓ કાઢી રહ્યાં છે. ઉપરની તસવીરમાં, ચેન્નાઈમાં હોડી પર તિરંગો ફરકાવીને હર ઘર તિરંગા ઝુંબેશમાં સામેલ થયાં છે માછીમારો

ચેન્નાઈમાં માછીમારો

નવી દિલ્હીમાં દુકાનદારોના અખિલ ભારતીય સંગઠન (CAIT – કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)ના સભ્યો દ્વારા તિરંગા રેલી

ત્રિપુરામાં, ભારત-બાંગલાદેશ સરહદ પર બાળકો સાથે હર ઘર તિરંગાની ઉજવણી કરતા સીમા સુરક્ષા દળના અધિકારી

જયપુરમાં હર ઘર તિરંગા ઝુંબેશ અંતર્ગત ભાજપની તિરંગા રેલી

અમૃતસરમાં કોંગ્રેસની તિરંગા રેલી