અમદાવાદે મનાવ્યો માર્ગ અકસ્માત પીડિત સ્મરણાંજલિ દિન…

માર્ગ અકસ્માતોમાં જાન ગુમાવનાર લોકોને વિશ્વભરમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અમદાવાદમાં 18 નવેમ્બર, રવિવારે ટ્રાફિક પોલીસ વિભાગ, એટીસીસી, જીસીસીઆઈ અને અમદાવાદની તમામ રોટરી ક્લબ્સ દ્વારા પરિમલ ગાર્ડન ખાતે ‘માર્ગ અકસ્માત પીડિત સ્મરણાંજલિ દિન’ મનાવવામાં આવ્યો હતો અને સર્વ ધર્મ પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલાઓનાં સ્વજનોએ પણ ભાગ લીધો હતો. અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ કેળવવા માટે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીની એક રેલીનું પણ આયોજન કર્યું હતું. રેલીને અંતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘ, જીસીસીઆઈના પ્રેસિડન્ટ ડો. જયમીનભાઈ વસા, અન્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)