શિયાળો બેસતાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરાયા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા શ્રી કેદારનાથ ધામમાં શિયાળાની મોસમ શરૂ થતાં ભગવાન શંકરને સમર્પિત કેદારનાથ મંદિરના દ્વાર 27 ઓક્ટોબર, ગુરુવારે સવારે બંધ કરી દેવામાં આવ્યા હતા. શિયાળાના મહિનાઓ દરમિયાન આ સ્થળે અત્યંત વિપરીત હવામાન રહે છે, હિમવર્ષા, ભારે વરસાદ સાથે કાતિલ ઠંડી પડે છે. મંદિરના દ્વાર પરંપરાગત વિધિ-વિધાન તથા ધાર્મિક અનુષ્ઠાન, મંત્રોચ્ચાર સાથે બંધ કરી દેવામાં આવ્યા હતા. એ વખતે ભક્તો-શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. બાદમાં પૂજારીઓ, ભક્તો, શ્રદ્ધાળુઓ ‘હર હર મહાદેવ’ના નારા લગાવતા ધીંમે ધીમે ત્યાંથી રવાના થયા હતા. શિયાળાની મોસમ પૂરી થયા બાદ મંદિરના દ્વાર ફરી આ જ રીતે મંત્રોચ્ચાર સાથે ખુલ્લા મૂકવામાં આવશે.

યમુના નદી અને મા યમુનાને સમર્પિત યમુનોત્રી ધામ મંદિરના દ્વાર પણ શિયાળાની મોસમને કારણે પરંપરાગત ધાર્મિક મંત્રોચ્ચાર તથા વિધિ-વિધાન સાથે બંધ કરી દેવામાં આવ્યા હતા. (તસવીર સૌજન્યઃ @UTDBofficial)