ભૌતિકવાદી ચીજવસ્તુઓનો ઉપભોગ જરૂર કરો, પરંતુ વૃત્તિઓને સંકોરીને

આપણે બધા ભગવાન શિવને સંહારક તરીકે ઓળખીએ છીએ. આપણામાંથી કેટલાને ખબર છે કે તેઓ શેનો નાશ કરે છે? સૌપ્રથમ હું સ્પષ્ટ કરી દઉં કે શિવ લોકોને મારી નાખે કે બૉમ્બ વિસ્ફોટ અને વિનાશ કરે એવા કોઈ આતંકવાદી નથી. તેઓ સ્મશાનમાં રહે છે, જ્યાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. સ્મશાનમાં શરીર બળી જાય છે પણ આત્મા ક્યારેય નાશ પામતો નથી. આત્મા બીજા દેહમાં પુનર્જન્મ લે છે. આત્મા તેની સાથે આપણા સંસ્કારોનું વહન કરે છે. મનુષ્ય આગલા જન્મમાં એ સંસ્કારોનું વહન કરે છે. આ સંસ્કારો અહંકાર, ઈર્ષ્યા, અસલામતી, ક્રોધ, હતાશા, ભય અને બીજા અનેક સ્વરૂપમાં હોય છે. ભગવાન શિવ એ જ નકારાત્મક સંસ્કારોનો સંહાર કરે છે. આ જ શિવજી કૈલાસ પર્વત પર રહીને ધ્યાન કરે છે અને આત્માઓને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરે છે.

શિવજીને આદિ યોગી (પ્રથમ યોગી) પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શિવજી તેમનું ત્રીજું નેત્ર ખોલશે અને વિનાશ સર્જાશે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ અધર્મમાં વધારો થશે ત્યારે તેઓ ત્રીજું નેત્ર ખોલશે. અધર્મ એટલે એવી લાગણીઓ, જે માનવજાત અને બ્રહ્માંડ માટે હાનિકારક હોય.

વાસ્તવમાં, યોગેશ્વરના નામે ઓળખાતા ભગવાન કૃષ્ણે પણ ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 4.7 અને 4.8માં આ જ વાત કહી છેઃ

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत |

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् |

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ||

આમ, શિવજી અને ભગવાન કૃષ્ણ બંને યોગ સાથે સંકળાયેલા છે. તેઓ બંને ઝેરનો નાશ કરે છે અને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરે છે.

જોકે, અહીં ખાસ કહેવાનું કે આ કટારનો ઉદ્દેશ્ય શિવજી અને ભગવાન કૃષ્ણ વચ્ચે સરખામણી કરવાનો કે એમની વચ્ચેના તફાવત શોધવાનો નથી. તેનો ઉદ્દેશ્ય તો આપણી વૃત્તિઓ (મનનું વિષ)નો નાશ કરીને નિજાનંદ માણવાનો છે.

યોગિક વેલ્થ આપણા મનમાં રહેલી અહંકાર, ભય, અસુરક્ષા, ચિંતા, હતાશા, અસહિષ્ણુતા જેવી વૃત્તિઓ (વિષ)નો નાશ કરવાનું શીખવે છે. એકવાર આ વૃત્તિઓ ખતમ થઈ જાય, પછી આપણે પોતાની સંપત્તિનો સાચી રીતે આનંદ માણી શકીએ છીએ. આથી જ આ કટારમાં આપણે ક્યારેય સંપત્તિની ટીકા કરી નથી અથવા સંપત્તિના ઉપભોગ પર નિયંત્રણ અથવા પ્રતિબંધ મૂકવાની વાત કરી નથી.

ભૌતિકવાદનો ઉપયોગ ખરાબ નથી. આપણને બધાને રોટી, કપડાં, મકાન અને બીજી ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આપણે સમાજમાં રહીએ છીએ. આપણે એવા લોકો નથી કે જેઓ જંગલમાં કે પહાડોમાં રહેતા હોય અને જેમને કોઈ વસ્તુની જરૂર પડતી ન હોય. જોકે, જ્યારે પણ આપણે ભૌતિકવાદી ચીજવસ્તુઓ અથવા સેવાઓનો ઉપયોગ કરીએ ત્યારે આપણે મનમાં વૃત્તિઓનું પ્રમાણ નજીવું હોય એ રીતે ઉપયોગ કરવો જોઈએ.

 

જો તમને કાર જોઈતી હોય તો ચોક્કસ ખરીદો, પરંતુ જે ક્ષણે કાર ‘સામાજિક મોભો’ બની જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે. જો આપણે સરસ રેસ્ટોરાંમાં જઈને જમવાનું ઈચ્છતા હોઈએ તો જવું જ જોઈએ, પરંતુ “હું કંઈક છું અને હું માત્ર અમુક પ્રકારની રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરું છું અથવા જો હું સામાન્ય રેસ્ટોરાંમાં ખાઉં તો લોકો શું વિચારશે” એવી લાગણી થાય ત્યારે સમસ્યા સર્જાય છે.

લોકો શું વિચારશે એવું વિચારવાને બદલે, “ભગવાન શું વિચારશે” એવું વિચારો. મારી પાસે કોઈ કાર છે કે નહીં અથવા હું કઈ રેસ્ટોરાંમાં ખાવા જાઉં છું એ વાતથી ભગવાનને કોઈ ફરક પડશે કે કેમ એવું વિચારો.

મનની વૃત્તિઓનું શમન થાય અને પ્રસન્નતા પ્રાપ્ત થાય એ માટે શિવજીને, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)