વર્ષ 1940માં ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું નામ બદલીને “નેશનલ ગેમ્સ” કરાયું

દેશમાં રમતગમતનો ઇતિહાસ વૈદિક તથા પ્રાચીન કાળથી જોડાયેલો છે. એ સમયે રમતગમતનો હેતુ અને ઉપયોગ શારીરિક વિકાસ તેમજ સ્વસુરક્ષા માટેનો હતો. કહેવાય છે કે ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે’, જેના થકી આપણે મનુષ્યના જીવનમાં રમતોનું મહત્વ ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ. પ્રાચીન કાળમાં ભારત વિકસિત દેશોની યાદીમાંનું એક હતું. ભારતે દુનિયાને ઘણી બધી રમતો આપી છે તેમ જ બદલાયેલા સ્વરૂપ તેમ જ આધુનિકીકરણ સાથે દુનિયા પાસેથી ઘણી નવી રમતો સ્વીકારી પણ છે.

રમતજગતના વિદ્વાન એવા સિમોન જેનકિંગ રમત વિશે જણાવતાં કહે છે કે રમત-ગમત એ કાર્યપ્રવૃતિ તેમ જ આનંદપ્રમોદનો સંયોગ છે, જેમાં શારીરિક પ્રવૃત્તિ અને સ્પર્ધા બંનેનો સમાવેશ થાય છે. રમતગમત એવી પ્રવૃત્તિ છે, જેમાં શારીરિક શ્રમની સાથે કૌશલ્યનો પણ સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિ ટીમ અથવા વ્યક્તિગત રીતે સ્પર્ધા કરે છે.

ભારતમાં રાષ્ટ્રીય રમતોત્સવના ભૂતકાળ પર ડોકિયું કરીએ તો- નેશનલ ગેમ્સની શરૂઆત બ્રિટિશ શાસન હેઠળ ૧૯૨૪માં મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ ઓલિમ્પિકથી પ્રેરિત થઈને થઈ હતી. ઓલિમ્પિકને નામે વિખ્યાત, રાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટિંગ ઇવેન્ટને ‘ભારતીય ઓલિમ્પિક ગેમ્સ’ તરીકે નામ આપવામાં આવ્યું હતું. જ્યાં દેશનાં વિવિધ રાજ્યોના રમતવીરો પોતપોતાનાં રાજ્યોના કીર્તિમાન સ્થાપવા માટે સ્પર્ધા કરે છે. નેશનલ ગેમ્સની સ્થાપનાનો ઉદ્દેશ દેશમાં રમાતી પરંપરાગત તેમ જ સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાની સાથે દેશમાં રમતગમતના માળખાનું નિર્માણ કરવાનો હતો. ૧૯૨૦ના દાયકામાં ઓલમ્પિક ચળવળમાં ભારતમાં રાષ્ટ્રીય રમતોની ઉત્પત્તિ થઈ હતી. ઓલમ્પિક તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં પસંદ કરી શકાય તેવી રાષ્ટ્રીય પ્રતિભાવોને ઓળખવાના હેતુથી પણ ભારતમાં રાષ્ટ્રીય રમતોની શરૂઆત કરવામાં આવી હતી.

“ભારતીય ઓલિમ્પિક ગેમ્સ” તરીકે ઓળખાતી પ્રથમ રાષ્ટ્રીય રમતો વર્ષ ૧૯૨૪માં પંજાબમાં લાહોરમાં પંજાબ ઓલિમ્પિક એસોસિયેશનના પ્રથમ અધ્યક્ષ સર દોરાબજી ટાટા હતા તથા સચિવ જી. ડી. સોંધીના નેતૃત્વમાં યોજવામાં આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ એચ.એલ.ઓ. ગેરેટ સ્થાપક સંસ્થાના પ્રમુખ હતા. ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું સપનું આ વ્યક્તિઓએ ભજવેલી મુખ્ય ભૂમિકાને કારણે સાકાર થયું.

ભારતમાં એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક એકરૂપ હોય તેવાં વર્ષો સિવાય દર બે વર્ષે નેશનલ ગેમ્સ યોજાય તેમ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૨૪થી ૧૯૩૮ સુધી ભારતીય ઓલમ્પિક ગેમ્સ દ્વારા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ આવૃત્તિ લાહોર (૧૯૨૪-૧૯૨૮)માં યોજવામાં આવી હતી. ત્યાર બાદ અલાહાબાદ (૧૯૩૦), મદ્રાસ (૧૯૩૨), ન્યુ દિલ્હી (૧૯૩૪), લાહોર (૧૯૩૬) અને કલકત્તા (૧૯૩૮)માં નિયમિતપણે દર બે વર્ષે યોજવામાં આવી હતી.

વર્ષ ૧૯૪૦માં બોમ્બેમાં તેની ૯મી આવૃત્તિમાં “ભારતીય ઓલિમ્પિક ગેમ્સ”નું નામ બદલીને “ધ નેશનલ ગેમ્સ” રાખવામાં આવ્યું. ત્યાર બાદ દર બે વર્ષે પટિયાલા (૧૯૪૨) તથા લાહોર (૧૯૪૪-૧૯૪૬)માં યોજવામાં આવી હતી. ભારતીય ઓલિમ્પિક ગેમ્સ વર્ષ ૧૯૪૬ સુધી બ્રિટિશ શાસન હેઠળ ૧૨ વખત યોજવામાં આવી હતી.

વર્ષ ૧૯૪૮માં લખનૌએ સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય રમતોનું આયોજન કર્યું, જે ખરેખર દેશ માટે ગૌરવની ક્ષણ હતી. ત્યાર બાદ વર્ષ ૧૯૭૦ સુધી આ રમત નિયમિતપણે યોજવામાં આવી હતી. વર્ષ ૧૯૭૯માં નવ વર્ષના અંતર પછી હૈદરાબાદે ૨૫મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી.

દિલ્હીએ છ વર્ષના અંતરાલ પછી વર્ષ ૧૯૮૫માં ૨૬મી આવૃત્તિનું આયોજન કર્યું હતું, પરંતુ આ વખતે તેમાં મોટા સુધારા હતા. વર્ષ ૧૯૮૫ પછી નેશનલ ગેમ્સને ઓલમ્પિક ફોર્મેટ મુજબ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું. રાષ્ટ્રની મુખ્ય રમત-ગમત આયોજક સંસ્થા ‘ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન’ના નેજા હેઠળ આયોજનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. નેશનલ ગેમ્સનું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યું.

કેરળે ૧૯૮૭માં ૨૭મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી, જે પછી ૭ વર્ષ બાદ બોમ્બે અને પુણેમાં ૧૯૯૪માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બેંગલોર (૧૯૯૭), ઇમ્ફાલ (૧૯૯૯), પંજાબ (૨૦૦૧) અને હૈદરાબાદ (૨૦૦૨) પછી ૨૦૦૭ માં ગુવાહાટીએ ૩૩મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. 35મી આવૃત્તિ કેરળની રાજધાની દક્ષિણી શહેર તિરુવનંતપુરમમાં યોજવામાં આવી, જ્યારે બીજી તરફ ગોવા અને છત્તીસગઢને આગામી બે આવૃત્તિઓનું યજમાનપદું કરવાની તક મળી હતી.

જોકે બહુ ઓછા સમયમાં રાજ્યોએ ફાળવેલી તારીખની અંદર ઈવેન્ટનું આયોજન કરવું એક જટિલ કાર્ય બની ગયું હતું. કુદરતી આફતો, વૈશ્વિક તેમ જ અન્ય સમસ્યાઓના કારણે ઘણાં રાજ્યો ઈવેન્ટનું નિર્ધારિત સમયે આયોજન કરવામાં અસફળ થયાં હતાં. વર્ષ ૨૦૨૦માં ગોવા અને વર્ષ ૨૦૨૧માં છત્તીસગઢ આવું આયોજન કરી શકાયું નહોતું.

રાષ્ટ્રીય રમતોનો સમયગાળો અને નિયમો સંપૂર્ણપણે ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તણાવ અને તાણના વારંવારના સમયગાળા છતાં ઓલિમ્પિક ચળવળે તેની ચમક અથવા જોમ ગુમાવી નથી. તેનાથી વિપરીત, તે ગુવાહાટી, રાંચી, કેરળ અને હવે ગોવા જેવાં કેન્દ્રોમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે દેશભરની સ્થાનિક સરકારો સક્ષમ છે.

નેશનલ ગેમ્સ ૨૦૨૨માં ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે નવી ઈવેન્ટ્સ યોગાસન અને મલખંભનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો પણ નેશનલ ગેમ્સ-૨૦૨૨માં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબરની વચ્ચે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમતોત્સવ એટલે કે ૩૬મી નેશનલ ગેમ્સનીની યજમાની કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં આ ઈવેન્ટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં યોજાશે. ૩૬મી નેશનલ ગેમ્સનું ગુજરાત જ્યારે યજમાન બનવા જઈ રહ્યુ છે, ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનના પ્રસ્તાવને ઝડપથી સ્વીકારવા બદલ ‘ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન’નો આભાર માન્યો છે.

ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનથી ભારત દેશના ધુરંધર રમતવીરો ગુજરાતના અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચરથી વાકેફ થશે. ગુજરાત જ્યારે વિશ્વ સ્તરીય રમતગમતના માળખાથી સજ્જ છે અને ગુજરાતના લોકોમાં રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય આ રાષ્ટ્રીય રમતોત્સવને અત્યાર સુધીના શ્રેષ્ઠ યજમાન બનવામાં કોઈ કસર છોડશે નહીં.

(શીતલ પરમાર)