અજમો ખાવ અને ગેસ ભગાડો

શાકમાં ઘણી વાર આપણી બા અજમો નાખે તો આપણને પસંદ ન પડે. આપણે મોઢું ચડાવીએ કે મમ્મી આ શું કર્યું? સ્વાદ બગાડી નાખ્યો. પરંતુ આપણી અસલ જે ગુજરાતી રસોઈ-વાનગી અને પદ્ધતિ છે તે સ્વાદની સાથે સાથે તબિયતનું પણ ધ્યાન રાખે છે. આથી અજમો વપરાતો હતો. મુખવાસમાં પણ અજમો વપરાતો હતો. અજમો સ્ત્રીઓ માટે પણ બહુ લાભદાયી છે. તમે જો અજમાના આરોગ્યલક્ષી ફાયદા જાણશો તો ચોંકી જશો.જે સ્ત્રીઓને માસિક ધર્મમાં દુ:ખાવો થતો હોય તેમણે ચાર ચમચી અજમો અને ૨ ચમચી સિંધવ (રૉક સૉલ્ટ) ખાંડીને તેને મિશ્ર કરી અડધી અડધી ચમચી ત્રણ વાર રોજ ફાકી જવું. દુઃખાવો બંધ થાય તો તેને લેવાનું બંધ કરી દ્યો. જો માસિક ધર્મ સંબંધિત ગડબડ હોય તો ૨-૨ ચમચી અજમો અને બે કપ પાણીમાં ગોળ નાખી ઉકાળી લો. પાણી અડધું ઉકળી જાય પછી તેને ગાળીને માસિક ધર્મ આવવાના અંદાજિત એક સપ્તાહ પહેલાં સવાર-સાંજ ગરમ ગરમ પીવો. આ રીતે ત્રણ મહિના સુધી દરેક માસિક ધર્મ પહેલાં પીવો. માસિક ધર્મ સંબંધિત ગરબડો દૂર થઈ જશે.

જો માસિક ધર્મ નિશ્ચિત દિવસે ન આવતું હોય, દુ:ખાવો થતો હોય તો માસિક ધર્મ આવવાના પંદર દિવસ પહેલાં માસિક ધર્મ આવે ત્યાં સુધી અડધી ચમચી ખાંડેલો અજમો ગરમ દૂધ સાથે પીવો. લાભ થશે. માસિક ધર્મ સમય પર આવવા લાગશે.

રક્ત પ્રદરમાં પણ અજમો લાભદાયી છે. ૧૫ ગ્રામ અજમાને રાત્રે માટીના વાસણમાં ૧૫૦ ગ્રામ પાણીમાં પલાળી દ્યો. સવારે ઠંડાઈની જેમ વાટીને તેને પાણીમાં ઘોળીને ગાળીને પીવો. રક્તપ્રદર દૂર થઈ જશે.

જો અપચો, ઝાડા તથા વાયુ બહુ થતો હોય તો ૧૦૦ ગ્રામ વાટેલા અજમામાં ૧૫ ગ્રામ સિંધવ મેળવીને ચૂર્ણ બનાવો. આ ફાકીમાંથી અડધી અડધી ચમચી બે વાર ભોજન પછી પાણી સાથે લઈ લો. તેનાથી અપચો નહીં થાય.

લીમડાની કુંપળો આઠ, અડધી ચમચી અજમો, અડધી ચમચી સંચળ બરાબર વાટીને અડધા કપ પાણીમાં ઘોળીને રોજ દિવસમાં એક વાર પાણી પીવાથી ખેંચ આવતી હશે તો બંધ થઈ જશે. આ ઉપરાંત ૨૦ ગ્રામ અજમો, દસ ગ્રામ કપૂર, ટંકણખાર મિશ્ર કરી તેને ખાંડી લો. પછી તેને એક શીશીમાં ભરી લો. ચોથા ભાગની ચમચી રોજ સવાર-સાંજ પાણી સાથે ફાકી લો. તેનાથી પણ ખેંચ આવવાની બંધ થઈ જશે. આ પ્રયોગ લાંબા સમય સુધી કરો.

જો તમને કે તમારા બાળકને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો એક ચમચી ખાંડેલો અજમાની ફાકી ગરમ પાણી સાથે લેવાથી ભૂખ ઉઘડે છે. ચોમાસાની ઋતુમાં તે ફાયદારૂપ છે.

આ ઉપરાંત લીંબુનો રસ એક ચમચી, આદુનો રસ અડધી ચમચી, સંચળ એક ચપટી (અડધો ગ્રામ) મિશ્ર કરીને ભોજનના અડધા કલાક પહેલાં સતત ૧૫ દિવસ સુધી લેવાથી ભૂખ ઉઘડશે.

જો તમને એસિડિટી, ઉલટી અને પેટ બળવાની સમસ્યા હોય તો એક ચમચી અજમો, અડધી ચમચી સિંધવ અને મરી ભેગું કરી તેને ખાંડી રોજ અડધી અડધી ચમચી ત્રણ વાર ગરમ પાણી સાથે ફાકી લો.

ઉપરાંત અમ્લપિત્તમાં ચોથા ભાગની ચમચી અજમો, બદામની એક ચીર ખાધા પછી અજમો રોજ બે વાર ચાવી ચાવીને ખાવ.

જો અજમો, ઇસબગોલનો ભૂસો, સૂંઠ સમાન માત્રામાં પીસીને એક ચમચી સૂતા સમયે ગરમ પાણી સાથે લઈ લો. તેનાથી વાયુ અને કબજિયાત નહીં થાય. એક ચમચી અજમો અડધા ગ્લાસ પાણીમાં ઉકાળી તેને ગાળી તેમાં લીંબુ નિચોવીને પીવો. તેનાથી પણ ગેસ દૂર થશે.

ઉપરાંત અડધી ચમચી ખાંડેલો અજમો, તુલસીનાં પાંચ પત્તાં અને પાંચ મરી ખાંડીને બે કપ પાણીમાં ઉકાળો. ઉકાળતી વખતે પાણી અડધું રહે ત્યારે તેને ગાળીને આ પાણી રાત્રે સૂતી વખતે પીવો. સવારે પેટ સાફ આવશે. કબજિયાત દૂર થઈ જશે. સૂતી વખતે અડધી ચમચી અજમો ચાવી જાવ.

ઉપરાંત અજમો યૌન શક્તિ પણ વધારે છે. ૨૦૦ ગ્રામ પીસેલો અજમો સફેદ ડુંગળીના રસમાં પલાળીને તેને સૂકવી લો. સૂકાઈ ગયા બાદ ફરીથી સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવો. આ રીતે ત્રણ  વાર પલાળીને સૂકવો. તેમાંથી બે ચમચી અજમો લઈ તેમાં બે ચમચી ઘી અને ચાર ચમચી ખાંડ નાખીને રોજ સવારે ખાવ. આ રીતે એકવીસ દિવસ સુધી લેવાથી શીઘ્રપતનની સમસ્યામાંથી રાહત મળે છે.