ગાંધીનગર- સૌરાષ્ટ્ર– કચ્છે પોતાનું ખમીર ઈવીએમમાં બતાવી દીધું છે. સૌરાષ્ટ્રની ૩૪ બેઠકો સત્તાના સુકાન માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. પરિવર્તન લાવવામાં પણ અગ્રેસર બનશે, તેમ મનાય છે. આ વખતે સોરાષ્ટ્રમાં ૪ બેઠકો ખૂબજ મહત્વની છે. રાજકોટમાં મુખ્યપ્રધાન ચૂંટણી જંગમાં છે. જામનગરમાં ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ આર.સી.ફળદુ, વર્તમાન ભાજપના પ્રમુખ વાઘાણી ભાવનગરથી તો પોરબંદર બેઠક ઉપરથી કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટણી જંગમાં છે.
ગુજરાતનાં પ્રથમ તબક્કાની વાત કરીયે તો કુલ ૨ કરોડથી વધુ મતદારો મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં જો જોઈએ તો વર્તમાન પ્રધાનમંડળના બાબુભાઇ બોખરીયા, જયેશ રાદડીયા, ચીમન સાપરિયા, વાસણભાઈ આહીર, વિભાવરીબહેન દવે, પુરુસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, ઇશ્વરભાઇ પટેલ, વિધાનસભા ભાજપના ઉપદંડક આર.સી. ફળદુ વિગેરે મહાનુભાવોનું ભાવિનો ઈવીએમમાં કેદ થયું છે. સામાન્ય રીતે સોરાષ્ટ્રવાસીઓનો મિજાજ એક તરફી ચુકાદો આપવાનો હોય છે. આ વખતે ચૂંટણીના રાજકીય તજજ્ઞૉ પણ પોતાનો અભિપ્રાય આપતા પહેલા વિચાર કરે છે. આ વખતે સૌરાષ્ટ્રવાસીઓનો મૂડ કોની તરફ છે. આ બેઠકો ઉપર મુખ્યત્વે પાટીદારો અને દલિત સમાજના મતો તેમજ કોળી સમાજનું પ્રભુત્વ ઘણું જ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો વિકાસના નામે મત માગી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉત્સવો પાછળ થતાં ખોટા ખર્ચાઓમાં વેડફતાં નાણાંની વાતો દોહરાવવામાં આવે છે.
આ વખતની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની જાહેર સભાઓમાં વડાપ્રધાન અને તેમના સાથી પ્રચારકોએ વિકાસના મુદ્દાને મુખ્ય બનાવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનાં રાહુલગાંધી ગુજરાત મોડેલ ઉપર સવાલ ઉઠાવતા કિસાનોની કથળેલી સ્થિતિ અને બેરોજગારીના મુદ્દે પોતાના મંતવ્યો આપી રહ્યાં છે. આ ઉપરાંત નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે દેશના આર્થિક મંદીનું વાતાવરણ તેમજ વેપાર ધંધા ઉપર થતી નુકસાનીની વાતો પણ દોહરાવવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં એક ડઝનથી વધુ બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની પોતાની સરસાઈથી જીત થયેલી હતી. ત્યારે માત્ર પાટીદાર સમાજના મતદારો નહીં પણ કોળી સમાજ, દલિત સમાજ, ઓબીસી, લઘુમતી સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના મતદારો ઉપર પક્ષોની નજર છે. આમ બંને મુખ્ય રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર ખૂબ જોરશોરથી કર્યો છે. પણ જોઈએ હવે સૌરાષ્ટ્રવાસીઓએ કોને મત આપ્યો છે.?