કાળીચૌદશ: “સાચું વશીકરણ”

કેટલાય દિવસથી હું કાળીચૌદશની રાત્રિની રાહ જોઇ રહ્યો હતો, સાંભળ્યું હતુ આ રાતે તાંત્રિકોની માફક વિધિ કરવાથી વશીકરણ અને ધાર્યું કામ કરવાની તાંત્રિક શક્તિ મળે છે. રાત્રીના સમયે જ્યાંથી પસાર થતાં જ્યાં બીક લાગે. આવી કાળી ચૌદસની રાત્રે ખાલી અડકાવી રાખેલા સ્મશાનના દરવાજાને મેં હળવો હડસેલો માર્યો. કિચુડનાં અવાજે મને ઉપરથી નીચે સુધી ધ્રૂજાવી નાખ્યો.

ઇચ્છિત મનોવાંછના અત્યારે બધુજ કરાવવા હાવી હતી. હું પૂજા તંત્રમંત્રની સામગ્રી સાથે સ્મશાનમાં દાખલ થયો. હાશ દુર ખૂણામાં બે ત્રણ જુદી-જુદી જગ્યાએ કોઈ ભુવાઓ અને તાંત્રિકો ભૂત-પ્રેતને રીઝવવા માટે જાત જાતની સાધનાઓ કરતા હતા. જે હોય તે કમસે કમ મને અહીં કોઈ માણસ છે એનો અહેસાસ થોડી તાકાત આપી ગયો. હું ભૂલી ગયો કે મરેલા કરતા જીવતા મનુષ્યનો ડર વધુ હોય છે.

આગલા મહિનાથી પંચમહાલના એક આદિવાસી જેવા તાંત્રિક પાસેથી શીખી લાવેલી વિદ્યા અજમાવી મારા મનસૂબાને પુરા કરવા હું ઉતાવળો હતો.

આમ તો હું ખાસ અંધશ્રદ્ધાળું નહોતો પરંતુ મારા લાખ પ્રયત્નો છતાં પણ જે મારૂં નહોતું થઇ શક્યું તેને મારું કરવા માટે આજે આ છેલ્લો દાવ અજમાવી લઉં તે આશાએ આજે હું આવા અજુગતા લાગતા કાર્યને હાથ ઉપર લેવા પ્રેરાયો હતો. આજે આંખોમાં મેંશ આંજી મારા પુસ્તકીયા જ્ઞાનને કોરાણે મુકી હું વશીકરણ માટે આવ્યો હતો. ત્યાંજ બે હાથની બાથમાં ના ભરાય તેવા એક વૃક્ષના થડીયા પાછળથી ભયંકર અંઘકાર ચીરીને આવતો ગણગણાટ સંભળાયો. મારા પગ ઘ્રુજી ગયા છતાં કુતુહતા વશ દબાતા પગલે હું તે તરફ ચાલ્યો.

“બસ આજની રાત નીકળી જાય પછી તું અને હું કાયમ માટે એક થઈ જઈશું, આપણે ઘરેથી ભાગી આવ્યા છીએ, કાલે મારા મામા આપણને મદદ કરવા આવી જશે અને જો એમ નહિ થાય તો આ સ્મશાન આપણને એક કરતા ક્યા રોકવાનું છે ” એક યુવકનો સ્વર સંભળાતો હતો.

“સુરજ તું મારા જેવી અપંગને ખાતર તારો જીવ કેમ ખતરામાં નાંખે છે તેજ મને સમજાતું નથી, તું મારામાં એવું તે શું જોઈ ગયો છે કે મુજ અપંગ માટે આટલું દુઃખ સહન કરે છે ” એક ઝીણો સ્ત્રી સ્વર સંભળાયો.

“નીરજા તારા સ્વભાવની મીઠાશ તારી મારા પ્રત્યેની મમતા,લાગણી મારા ઉપર વશીકરણ કરી ગઈ છે. હવે તુજ કહે વશીકરણમાં જકડાઈ ગયેલો માણસ કેમ કરીને છૂટે”?

મારા હાથમાંથી તંત્ર મંત્રની બધી સામગ્રી નીચે પડી ગઈ એક મજબુત નિર્ણય મનમાં ઉગી આવ્યો. બસ હવે મારા સ્નેહ અને ધીરજથી હું પ્રીતિને કાયમને માટે મારી બનાવી લઈશ એજ “સાચું વશીકરણ”. બાકી આ કાળી રાત્રીએ તેલ ધીના દીવા પ્રગટાવી મહાકાલીની પૂજા કરવાની હોય છે.

– રેખા પટેલ (વિનોદિની)