Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujarat20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતનો 12633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે.

ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા

કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગ પાકનો ટેકાનો ભાવ 8558 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે.

ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તેવો અનુરોધ

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે, મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular