માણસને ત્રણ વસ્તુ જ ગમે છે. મનોરંજન, મનોરંજન અને મનોરંજન. મનોરંજનની વાત આવે એટલે માણસ બધું જ ભૂલી જાય. કદાચ ભારતમાં આ વાત વધારે પ્રચલિત છે. વ્યક્તિ પોતાના માટે શું સારું છે એ ભૂલીને અન્યનું સારું પામવા મથવા લાગે ત્યારે સમજાય કે ક્યાંક કશુંક ખોટું થયું છે. કોઈ તો ચૂક રહી ગઈ છે જેનાથી સમાજ દિશા બદલી ચૂક્યો છે.
વ્યક્તિને કોઈ પ્રેમ કરે એ એને ચોક્ક્સ ગમે પણ કોઈ એના માટે જીવ આપવા તૈયાર થઈ જાય તો? કેટલા બધા એવા લોકો છે જે એવા લોકો માટે જીવ આપવા તૈયાર છે જેમને એ જાણતા પણ નથી. એમનો એક માત્ર ઉદ્દેશ્ય છે દેશની સુરક્ષા. જી હા, આપણાં સૈનિકોને આપણે પ્રેમ અને સન્માન આપવું જોઈએ. એ લોકો મનોરંજન નથી કરતા પણ આપણે મનોરંજન પામી શકીએ એવી સ્થિતિમાં આપણને રાખે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: કોઈ ટીમ ક્રિકેટની મેચ જીતી એના અભિવાદન માટે લાખો લોકો ઉમટ્યા અને કેટલાક મરી પણ ગયા. ક્રિકેટર તો પૈસા લઈને રમે છે. વળી એ એમનો વ્યવસાય છે. એ દેશના સામાન્ય નાગરિક માટે કશું કરતા નથી. પણ લોકો એમની પાછળ ઘેલા છે. અને દેશના સૈનિકો દેશ માટે જીવ આપી દે છે. તો એમને ટ્રોલ પણ કરે છે. આવું વિચારવા વાળા લોકોના ઘરમાં કયો વાસ્તુ દોષ હશે?
જવાબ: આપણા દેશનો સહુથી મોટો પ્રશ્ન છે વસ્તી વધારાનો. એમાં સાવ નવરા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
લોકો ક્રિકેટ રમે છે એટલે એમને એ રમત સમજાય છે. જો પચીસ વરસથી નાના દરેક નાગરિકને આર્મીની ટ્રેઈનિંગ ફરજીયાત કરવામાં આવે તો એમને સૈનિકો વિશે સમજાશે. જ્યારે માણસને મહેનત વિનાનું મળવા લાગે ત્યારે એને કામ કરવાની ઈચ્છા મરી જાય. અને એ મોજશોખને જ જીવન માની લે છે. જ્યારે સમગ્ર વાસ્તુ નકારાત્મક હોય ત્યારે માણસ નકામો થઈ જાય. જે દેશમાં સૈનિકોને સન્માન મળતું હોય એ દેશ સાચે જ મહાન ગણાય.
સવાલ: ઘરમાં પૈસો ટકતો નથી અને કંકાસ બહુ રહે છે. કોઈ ઉપાય આપો ને.
જવાબ: આપના ઘરમાં દક્ષિણ મધ્યનું દ્વાર છે. નૈર્ઋત્યમાં ડ્રોઇંગ રૂમ છે. આના લીધે આવું થાય છે. ઘરમાં ધૂપ ફેરવો. એના માટે કોઈ નિષ્ણાંતની સલાહ લો.
સૂચન : જે ઘરમાં કંકાસ હોય ત્યાં લક્ષ્મી ટકતી નથી.
આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com
